VIDEO : ANDARNI VAAT/ વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે: પીએમ મોદી સાથે ખાસ બેઠક
વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ ભારતનીપાંચ દિવસીયસત્તાવાર મુલાકાતે આવ્યા છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ સાથે દ્વિપક્ષીય મંત્રણા યોજી હતી. આ બેઠક પૂર્વે રોડ્રિગ્ઝે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ મુલાકાત કરી હતી, જેમાં બંને દેશોએ પરસ્પર સહયોગ વધારવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. પીએમ મોદી અને ડેલ્સી રોડ્રિગ્ઝ વચ્ચેની આ મુલાકાતમાં ઉર્જા સુરક્ષા, વેપાર અને રોકાણ, ફાર્માસ્યુટિકલ્સ, હેલ્થકેર, ટ્રાન્સપોર્ટેશન અને રિન્યુએબલ એનર્જી જેવા મુખ્ય ક્ષેત્રો પર ગહન ચર્ચા કરવામાં આવી છે. ભારત વેનેઝુએલા સાથેના તેના આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા માટે ઉત્સુક છે, ખાસ કરીને એવા સમયે જ્યારે વૈશ્વિક ઉર્જા બજારમાં અસ્થિરતા જોવા મળી રહી છે.
આ મુલાકાત પાછળની સૌથી મોટી અને મહત્વની અંદરની વાતભારતની બદલાતી ઉર્જા નીતિ છે. માનવામાં આવી રહ્યુ છે કે, ભારત હવે રશિયન ઓઈલ પરની નિર્ભરતા ઘટાડીને ફરીથી વેનેઝુએલાથી મોટા પાયે ક્રૂડ ઓઈલની ખરીદી કરવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાના દબાણ અને રશિયા પરના આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને જોતા, ભારતે તેની ઉર્જા જરૂરિયાતો સંતોષવા માટે દક્ષિણ અમેરિકાના આ સંસાધન સમૃદ્ધ દેશ તરફ નજર દોડાવી છે. અગાઉ અમેરિકાએ પણ સંકેત આપ્યા હતા કે જો ભારત રશિયા પાસેથી ઓઈલની આયાત ઘટાડે છે, તો તેને વેનેઝુએલાથી ક્રૂડ ખરીદવામાં છૂટછાટ મળી શકે છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ હોવાથી વેનેઝુએલા ભારત માટે પાંચમો સૌથી મોટો ક્રૂડ સપ્લાયર બનીને ઉભર્યો છે. આ વ્યૂહાત્મક પગલું ભારતને સસ્તું ઈંધણ મેળવવામાં અને તેની અર્થવ્યવસ્થાને સ્થિર રાખવામાં મોટી મદદ કરી શકે તેમ છે.

