ANDAR NI VAAT: ઉદયનિધિ સ્ટાલિને પલાનીસ્વામીને ગણાવ્યા ભાજપના આક્રમક ગુલામ
તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિને તિરુવન્નામલાઈમાં ચૂંટણી પ્રચાર સભા દરમિયાન વિપક્ષના નેતા એડાપ્પડી કે પલાનીસ્વામી પર આકરા પ્રહાર કર્યા છે. ઉદયનિધિએ જણાવ્યું કે પલાનીસ્વામી તો ભાજપના આક્રમક ગુલામ છે.
તમિલનાડુના તિરુવન્નામલાઈમાં વિશાળ સભાને સંબોધતા ઉદયનિધિએ જણાવ્યું કે અમે પક્ષના આક્રમક કાર્યકરો જોયા છે, પરંતુ એડાપ્પડી પલાનીસ્વામી તો ભાજપના આક્રમક ગુલામ તરીકે છે. તેમણે આરોપ લગાવ્યો કે એઆઈએડીએમકે નેતા વડાપ્રધાન મોદીના આધીન બની ગયા છે અને તમિલનાડુમાં ભાજપને લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ડીએમકે ઉમેદવાર અને જાહેર બાંધકામ મંત્રી ઈવી વેલુના સમર્થનમાં તિરુવલ્લુવર પ્રતિમા પાસે યોજાયેલી સભામાં ઉદયનિધિ સ્ટાલિને ખુલ્લા વાહનમાં પહોંચીને મત માંગ્યા. તેમણે વેલુની વહીવટી ક્ષમતા અને અનુભવની પ્રશંસા કરી અને જણાવ્યું કે અગાઉ તેઓ 95 હજાર મતોના માર્જિનથી જીત્યા હતા. આ વખતે માર્જિન એક લાખ સુધી વધારવા અપીલ કરી. ઉદયનિધિએ છેલ્લા પાંચ વર્ષમાં તિરુવન્નામલાઈમાં થયેલા વિકાસ કાર્યોની યાદી આપી અને દ્રવિડ મોડેલ 2 હેઠળ મહિલાઓને 2 હજાર સુધીની નાણાકીય સહાય, નાસ્તા યોજનાનું વિસ્તરણ, મફત લેપટોપ અને અન્ય કલ્યાણકારી વચનો આપ્યા છે. તેમણે ચૂંટણીને તમિલનાડુ અને દિલ્હી વચ્ચેની લડાઈ ગણાવીને ડીએમકેને ટેકો આપવા મતદારોને અપીલ કરી.

