VIDEO: ANDAR NI VAAT/ કસૌલીમાં લાખો વૃક્ષો બળીને ખાખ! પ્રકૃતિ, પર્યાવરણ અને ભવિષ્ય સામે મોટું સંકટ
દર વર્ષે દાવાનળના કારણે દેશભરના જંગલો બળીને ખાખ થઈ રહ્યા છે. તેનાથી પ્રાકૃતિક વારસાનો તો નાશ થાય છે પણ સાથે સાથે વન્ય જીવો, પર્યાવરણ અને અર્થતંત્રને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. જંગલોમાં આગ લાગવાની ઘટના છેલ્લાં કેટલાક વર્ષોમાં ચિંતાજનક રીતે વધી છે.
દર વર્ષે આકરા ઉનાળામાં ભારત સહિત દુનિયાના ઘણા જંગલો ભડકે બળે છે આ વર્ષે પણ કસૌલીમાં કેટલાક લોકો દ્વારા ચીડના પાંદડા સળગાવવામાં આવ્યા હોવાનું મનાય છે. તેના કારણે સમગ્ર જંગલમાં આગ ફેલાઈ ગઈ અને લાખો વૃક્ષોને ખાખ કરી નાખ્યા. એરફોર્સના બે એમઆઈ ૧૭ અને ચિનૂક હેલિકોપ્ટર દ્વારા ચંડીગઢના સુખના સરોવર ખાતેથી વારંવાર પાણી ભરીને કલાકોની મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. ચિંતાજનક વાત એવી છે કે, દર વર્ષે દાવાનળના કારણે દેશભરના જંગલો બળીને ખાખ થઈ રહ્યા છે. તેનાથી પ્રાકૃતિક વારસાનો તો નાશ થાય છે પણ સાથે સાથે વન્ય જીવો, પર્યાવરણ અને અર્થતંત્રને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે.
જંગલોમાં લાગતી આગ ગ્લોબલ વોર્મિંગનું પણ પરિણામ છે. ક્લાઈમેટ ચેન્જના કારણે ગરમીનો સમયગાળો વધી ગયો છે. તેમાંય શુષ્ક વાતાવરણ, ઝડપી પવન અને અત્યંત વધારે તાપમાનને કારણે ચીડ અને યુકેલિપ્ટરના વૃક્ષોમાં આગ લાગતી હોય છે અને તેના જ પાંદડા દ્વારા આગ વધારવામાં મોટી ભૂમિકા ભજવવામાં આવે છે. જંગલોમાં આગ લાગવાની ઘટના છેલ્લાં કેટલાક વર્ષોમાં ચિંતાજનક રીતે વધી છે. ગ્લોબલ વોર્મિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ, માણસોની બેદરકારી, તંત્રની અનિચ્છા જેવા ઘણા પરિબળો આ સ્થિતિને અસર કરી રહ્યા છે. જંગલોની જે હાલની પરિસ્થિતિ છે તે જોતાં લાગી રહ્યું છે કે, હવે જાગ્રત થવાની જરૂર છે અને સભાનતા સાથે જંગલો બચાવવા માટે નક્કર પગલાં લેવા પડશે.

