ANDAR NI VAAT: IAS-IPS અધિકારીઓની બદલી વિરુદ્ધ TMC સાંસદની અરજી કોલકાતા હાઈકોર્ટે ફગાવી
કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં આઈએએસ, આઈપીએસ અને અન્ય અધિકારીઓની બદલીઓ વિરુદ્ધ તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સભ્ય તેમજ વકીલ કલ્યાણ બેનર્જી દ્વારા દાખલ કરાયેલી જાહેરહિતની અરજીને ફગાવી દીધી છે. કોલકાતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુજોય પોલ અને ન્યાયાધીશ પાર્થ સારથી સેનની બેન્ચે જણાવ્યું કે બદલી કરાયેલા અધિકારીઓની જગ્યાએ નવા અધિકારીઓની નિમણૂંક થઈ હોવાથી વહીવટી તંત્રમાં કોઈ શૂન્યાવકાશ નથી. કોર્ટે કહ્યું કે ચૂંટણી સુધી માત્ર ટૂંકા ગાળાની બદલી કરવામાં આવી હોય તો તેને વહીવટી લકવો કહી શકાય નહીં. કોર્ટે ભારતીય ચૂંટણી પંચના આદેશને મનસ્વી કે બદનક્ષીભર્યો ગણવાનો ઇન્કાર કર્યો છે. જોકે, વ્યક્તિગત અધિકારીઓને પોતાના ટ્રાન્સફર ઓર્ડરને અલગથી પડકારવાની મંજૂરી આપી છે. આ મહિનાની શરૂઆતમાં ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા અનેક જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકો સહિત અધિકારીઓની બદલી કરી હતી. ચૂંટણી પંચે સરળ અને નિષ્પક્ષ ચૂંટણી માટે આ પગલું ભર્યું હતું. પશ્ચિમ બંગાળમાં 23મી અને 29મી એપ્રિલે બે તબક્કામાં મતદાન અને 4 મેના રોજ મતગણતરી થશે.

