VIDEO: ANDAR NI VAAT / બિહારના બાંકીપુરાથી પ્રશાંત કિશોર ભાજપને આપશે ટક્કર, ચૂંટણી લડવાની કરી જાહેરાત
બિહારના રાજકીય ગઢ ગણાતા પટનામાં એક મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે, જ્યારે જન સુરાજ પાર્ટીના વડા પ્રશાંત કિશોરે આગામી વિધાનસભા ચૂંટણીમાં પ્રતિષ્ઠિત બાંકીપુર બેઠક પરથી ચૂંટણી લડવાની ઔપચારિક જાહેરાત કરી છે. ભાજપના નેતા નીતિન નબીનના રાજીનામા બાદ ખાલી પડેલી આ બેઠક પર ભાજપ વર્ષોથી વર્ચસ્વ જમાવી રહ્યો છે અને તેને ભાજપનો સુરક્ષિત ગઢ માનવામાં આવે છે. જોકે, પ્રશાંત કિશોરની આ જાહેરાત બાદ સ્થિતિ બદલાઈ રહી છે. જન સુરાજ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે પક્ષની કોર કમિટીએ બાંકીપુરના સ્થાનિક મતદારોની માગ અને લોકોની ઈચ્છાને માન આપીને પ્રશાંત કિશોરના નામ પર મહોર મારી છે. આ પગલાંથી બાંકીપુરના રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે અને ભાજપ માટે આ બેઠક જાળવી રાખવી હવે આટલી સરળ નહીં રહે. પ્રશાંત કિશોરની વ્યૂહરચના અને તેમની પાયાની મહેનત ભાજપના વર્ષોના પ્રભાવને સીધો પડકાર ફેંકી રહી છે.
આ ચૂંટણી જંગમાં અન્ય વિપક્ષી પક્ષોની ભૂમિકા અત્યંત મહત્વની સાબિત થવાની છે. આરજેડી અને કોંગ્રેસ જેવા મુખ્ય વિપક્ષી દળો પ્રશાંત કિશોરને મૌન કે પ્રત્યક્ષ સમર્થન આપે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. જે ભાજપની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. જો તમામ વિપક્ષી દળો એકમતે પ્રશાંત કિશોરની પાછળ એકઠા થાય. તો બાંકીપુર બેઠક ભાજપના હાથમાંથી સરકી શકે છે. અત્યારે સમગ્ર બિહારની નજર હવે ભાજપ તરફ મંડાયેલી છે કે પ્રશાંત કિશોર જેવા આક્રમક રણનીતિકાર સામે પક્ષ કોને મેદાનમાં ઉતારશે. ભાજપ માટે આ સીટ માત્ર એક બેઠક નહીં પરંતુ તેમના ગઢને બચાવવાનો અહમનો જંગ બની ગઈ છે. પ્રશાંત કિશોરનો પ્રવેશ બિહારના રાજકારણમાં નવો વળાંક લાવ્યો છે, જે આગામી સમયમાં ભાજપ અને જન સુરાજ વચ્ચેના સીધા સંઘર્ષને વધુ ધારદાર બનાવશે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ આ પડકારનો સામનો કરવા કઈ નવી વ્યૂહરચના અપનાવે છે અને પ્રશાંત કિશોર આ ગઢને તોડવામાં કેટલા સફળ રહે છે. બ્યુરો રિપોર્ટ જીએસટીવી

