બિહારના આ ગામમાં મુસ્લિમો નથી :પૂર્વજોના સમયથી હિન્દુઓ કાઢે છે મોહરમના તાજિયા અને જુલૂસ

ગયા : બિહારના ગયામાં આવેલા ફતેહપુરમાં હિન્દુઓ મોહરમનો શોક પાળે છે. આ વિસ્તારમાં અનેક એવા ગામડા આવેલા છે કે જ્યાં મુસ્લિમો છે જ નહીં તેમ છતા મોહરમનો માતમ પાળતા લોકો જોવા મળશે. જ્યારે કેટલાક ગામડા એવા છે કે જ્યાં હિન્દુ-મુસ્લિમ બન્ને મળીને મોહરમ પાળે છે.
ફતેહપુરના વિવિધ ગામડા જેમ કે ગદહિયાટાંડ, જેહલીબીઘા, બહેરા, મોરવે, મતાસો, ભગવાનપુર સહિત આશરે ૬૦ જેટલા ગામડાઓ આવેલા છે કે જ્યાં હિન્દુ પરિવાર મોહરમ પાળે છે. કેટલાક ગામડાઓમાં તાજિયા જુલુસ પણ કાઢે છે.
કેટલાક ગામડા એવા પણ છે કે જ્યાં મુસ્લિમો ઓછા ને હિન્દુઓ વધુ હોય છે. આવા ગામડાઓમાં હિન્દુઓ જ તમામ આયોજન કરે છે અને મુસ્લિમો સાથે મોહરમ પાળે છે.
આવા જ એક પતેયા ગામના રહેવાસી નરેશ પંડિત જણાવે છે કે તેમના ગામમાં કોઇ જ મુસ્લિમ પરિવાર નથી રહેતો, તેમ છતા વર્ષોથી મોહરમ મનાવવાની પરંપરા ચાલી આવે છે. પૂર્વજોના સમયે પરિવાર પર જ્યારે સંકટ આવેલુ ત્યારે ઇમામવાડામાં માનતા રાખવામાં આવી હતી. આ સંકટ દૂર થઇ ગયા બાદ પરિવારે મોહરમ મનાવવાનું શરૂ કરેલું જે હાલ પણ ચાલ્યું આવે છે.
અન્ય એક ગામ ગદહિયાટાંડના રહેવાસી રોહન રાજવંશીએ જણાવ્યું હતું કે અમારા ગામમાં તાજિયાથી લઇને જુલૂસ સહિતનું આયોજન કરવામાં આવે છે.

