VIDEO: IND vs ZIM / T20 સિરીઝ માટે ઝિમ્બાબ્વેએ જાહેર કરી ટીમ, બે ખેલાડીની થઈ વાપસી; એકનું થશે ડેબ્યુ
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 23 જુલાઈથી શરૂ થઈ રહેલી 3 મેચોની T20I સિરીઝ માટે ઝિમ્બાબ્વે ક્રિકેટે પોતાની 15 સદસ્યની ટીમની જાહેરાત કરી દીધી છે. અનુભવી ઓલરાઉન્ડર સિકંદર રઝાના નેતૃત્વમાં જાહેર કરાયેલી આ ટીમમાં સિલેક્ટર્સે તાજેતરમાં બાંગ્લાદેશ સામે રમાયેલી T20 સિરીઝની સરખામણીએ 3 મહત્ત્વના ફેરફાર કર્યા છે. ભારત સામેની આ રોમાંચક ટક્કર હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે 23, 25 અને 26 જુલાઈના રોજ રમાશે.
ટીમમાં થયા 3 મહત્ત્વના ફેરફાર: નવા વિકેટકીપરની એન્ટ્રી
બાંગ્લાદેશ પ્રવાસની સરખામણીએ ઝિમ્બાબ્વેની ટીમમાં ઓલરાઉન્ડર વેસ્લી મદેવેરેની વાપસી થઈ છે. આ સિવાય ફાસ્ટ બોલર ન્યૂમેન ન્યામહુરી પણ સંપૂર્ણ ફિટ થઈને ટીમમાં પરત ફર્યો છે. ન્યામહુરી હળવી ઈજાના કારણે બાંગ્લાદેશ સામે નહતો રમી શક્યો. જોકે, તેની ગેરહાજરીમાં ટીમમાં સ્થાન મેળવનાર તનાકા ચિવાંગાએ પોતાના શાનદાર પ્રદર્શનના દમ પર ટીમમાં જગ્યા જાળવી રાખી છે.
આ સિરીઝનો સૌથી મોટો ચોંકાવનારો નિર્ણય વિકેટકીપર-બેટ્સમેન તફાદ્ઝવા ત્સિગાની પસંદગી છે, જેને પ્રથમ વખત ઝિમ્બાબ્વેની T20I ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ 3 ખેલાડીઓના સમાવેશના કારણે ક્લાઇવ મદાંડે, ટિનોટેન્ડા માપોસા અને તાશિંગા મુસેકિવાને 15 સદસ્યની ટીમમાંથી બહાર થવું પડ્યું છે.
હરારેમાં રમાશે તમામ મુકાબલા
તાજેતરના T20 વર્લ્ડ કપ 2026ના પ્રદર્શન બાદ ઝિમ્બાબ્વેની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર મજબૂત વાપસી કરવા માટે ઉત્સુક છે. ઝિમ્બાબ્વે ટીમનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ હેઠળ આવી રહેલી યુવા ભારતીય ટીમને પોતાના ઘરઆંગણે આકરી ટક્કર આપવાનો રહેશે.
T20 સીરિઝ માટે ઝિમ્બાબ્વેની 15 સદસ્યની ટીમ
સિકંદર રઝા (કેપ્ટન), બ્રાયન બેનેટ, રાયન બર્લ, તનાકા ચિવાંગા, બેન કરન, બ્રેડ ઇવાન્સ, વેસ્લી મદેવેરે, તાદીવાનાશે મારુમાની, વેલિંગ્ટન મસાકાદઝા, બ્લેસિંગ મુઝરાબાની, ડીયોન માયર્સ, રિચાર્ડ નગારાવા, ન્યૂમેન ન્યામહુરી, મિલ્ટન શુમ્બા, તફાદ્ઝવા ત્સિગા (વિકેટકીપર).

