ઝહીર ખાને મોહમ્મદ શમીની વાપસી અંગે આપ્યું મોટું નિવેદન, ટીમ મેનેજમેન્ટને આપી આ સલાહ

મોહમ્મદ શમી લગભગ દોઢ વર્ષથી ટીમ ઈન્ડિયાથી દૂર છે. શમીએ ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેની બોલિંગ vવિશે દરેક વ્યક્તિ જાણે છે. તેણે ગઈ સિઝનમાં રણજી ટ્રોફીમાં બંગાળ માટે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમ છતાં, તેની અવગણના કરવામાં આવી રહી છે. ભૂતપૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર ઝહીર ખાને હવે શમી વિશે વાત કરી છે. તે માને છે કે ભારતીય ટીમે શમીના અનુભવનો ઉપયોગ કરવો જોઈએ.
ઝહીર ખાને કહ્યું
ઝહીર ખાન માને છે કે જો શમી ફિટ હોય, તો તેને ભારતીય ટીમમાં તક આપવી જોઈએ. તેણે કહ્યું, "જ્યારે કોઈ ખેલાડી સારું પ્રદર્શન કરે છે, ત્યારે તેને ચોક્કસપણે ભારતીય ટીમના આયોજનમાં સામેલ કરવો જોઈએ અને શમી હાલમાં તેનો ભાગ હોય તેવું નથી લાગતું. શમીએ વર્લ્ડ કપ રમવો જોઈએ અને ટીમનો ભાગ બનવું જોઈએ. મને ખબર નથી કે ટીમ મેનેજમેન્ટ આ વિશે શું વિચારે છે. આ નિર્ણય હેડ કોચ, સિલેક્ટર્સ અને કેપ્ટનનો છે. પરંતુ મારા મતે, જો મોહમ્મદ શમી ફિટ અને ઉપલબ્ધ હોય, તો ભારતે તેના જેવા અનુભવી બોલરને સાઉથ આફ્રિકા લઈ જવો જોઈએ."
શમીની ફિટનેસ અંગે પ્રશ્નો ઉભા થયા હતા
ચીફ સિલેક્ટર અજિત અગરકરે શમીની ફિટનેસ સમસ્યાઓ વિશે કહ્યું હતું, જેના કારણે તેને ભારતીય ટીમમાં તકો નથી મળી રહી. જોકે, શમીએ જવાબ આપતા કહ્યું, "જો હું રણજી ટ્રોફીમાં આખો દિવસ બોલિંગ કરી શકું છું, તો હું ODIમાં 10 ઓવર પણ બોલિંગ કરી શકું છું. જો હું ફિટ ન હોઉં, તો હું લાંબા સ્પેલ કેવી રીતે ફેંકી શકું?" શમીએ અગરકરને સીધો જવાબ આપ્યો. શમી બંગાળ માટે ત્રણેય ફોર્મેટ રમી રહ્યો છે અને શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેને દુલીપ ટ્રોફી 2026 માટે ઈસ્ટ ઝોન ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. તેની પાસે ફરી એકવાર મજબૂત પ્રદર્શન સાથે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવાનો દાવો કરવાની તક છે. શમી ચોક્કસપણે આ તકનો લાભ લેવા માંગશે.

