IND vs ENG / ઈજાગ્રસ્ત હોવા છતાં બેટિંગ કરશે રિષભ પંત? ટેસ્ટના બીજા દિવસે ટીમ સાથે જોવા મળ્યો

ભારતનો વાઈસ-કેપ્ટન રિષભ પંત, ગુરુવારે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ચોથી ટેસ્ટના બીજા દિવસે ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર ભારતીય ટીમ સાથે જોડાયો છે. એક દિવસ પહેલા તેને પગમાં ઈજા થઈ હતી. એક મોટા અપડેટમાં, BCCI એ જાહેર કર્યું કે પંત પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરવા માટે ઉપલબ્ધ છે, જોકે ધ્રુવ જુરેલ મેચની બંને ઈનિંગમાં વિકેટકીપર તરીકે તેનું સ્થાન લેશે.
BCCI એ X પર પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, "રિષભ પંત, જેને માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે જમણા પગમાં ઈજા થઈ હતી તે બાકીની મેચ માટે વિકેટકીપિંગ નહીં કરે. ધ્રુવ જુરેલ વિકેટકીપરની ભૂમિકા સંભાળશે. ઈજા છતાં, રિષભ પંત બીજા દિવસે ટીમ સાથે જોડાયો છે અને ટીમની જરૂરિયાતો મુજબ બેટિંગ કરવા માટે ઉપલબ્ધ રહેશે."
કેવી રીતે ઈજાગ્રસ્ત થયો પંત?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે પંત ઈજાગ્રસ્ત થયો જે બાદ તેને પવેલીયન પરત ફરવું પડ્યું હતું. ભારતની ઈનિંગની 68 ઓવર સમાપ્ત થઈ હતી અને પંત 37 રન પર બેટિંગ કરી રહ્યો હતો. ક્રિસ વોક્સની ઓવરમાં રિવર્સ સ્વીપ રમવાના પ્રયાસમાં બોલ પંતના પગ પર વાગ્યો હતો. દુખાવાના કારણે પંત જમીન પર જ સૂઈ ગયો હતો. આ બાદ ફિઝીયો એ તેની મેદાન પર આવીને તેની ઈજા ચેક કરી હતી. પછી મેડિકલની ટીમ પંતને ગાડીમાં બેસાડી મેદાનની બહાર લઈ ગઈ હતી.

