IND vs ENG / બુમરાહને શું થયું? તે લોર્ડ્સ ODIમાંથી બહાર કેમ થઈ ગયો? BCCIએ આપ્યું અપડેટ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રણ મેચની ODI સિરીઝની નિર્ણાયક મેચઆજે (19 જુલાઈ) ના રોજ લંડનના લોર્ડ્સ ખાતે રમાઈ રહી છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઘૂંટણની ઈજાને કારણે લોર્ડ્સ ODI માટે પસંદગી માટે ઉપલબ્ધ નહતો.
ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ દરમિયાન આ વાતની પુષ્ટિ કરી. શુભમનએ કહ્યું, "બુમરાહ ઘૂંટણની ઈજાને કારણે આ મેચ નથી રમી રહ્યો."
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બુમરાહની ઈજા અંગે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું. બોર્ડે જણાવ્યું કે કાર્ડિફમાં બીજી ODI દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે બુમરાહને ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી. ત્યારબાદ, તેના ઘૂંટણમાં રિએક્ટિવ સોજો આવી ગયો, જેના કારણે તે ત્રીજી ODI માટે ઉપલબ્ધ નહતો.
બુમરાહે IPL 2026 પછી એક મહિનાથી વધુ સમયનો વિરામ લીધો હતો. આ કારણે, તે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ અને ODI સિરીઝનો ભાગ નહતો. તેને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝ માટે પણ આરામ આપવામાં આવ્યો હતો. તે 14 જુલાઈના રોજ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ODIમાં એક્શનમાં પાછો ફર્યો. 2023 ODI વર્લ્ડ કપ ફાઇનલ પછી આ તેની પહેલી 50 ઓવરની મેચ હતી.
જસપ્રીત બુમરાહ ઉપરાંત, ટીમ ઇન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં વધુ બે ફેરફાર કર્યા. શિવમ દુબે અને વોશિંગ્ટન સુંદરને પણ આ મેચમાંથી બહાર રાખવામાં આવ્યા હતા. તેમના સ્થાને અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા હતા.

