વિજય હજારે ટ્રોફી: સરફરાઝ ખાનનું દમદાર પ્રદર્શન, ગોવા સામેની મેચમાં ફટકારી સદી

વિજય હજારે ટ્રોફીમાં સરફરાઝ ખાને દમદાર પ્રદર્શન કરીને ગોવા સામેની મેચમાં 56 બોલમાં સદી ફટકારીને કહેર મચાવ્યો છે. સરફરાઝે પોતાની ઈનિંગમાં 9 ચોગ્ગા અને 14 છગ્ગા ફટકાર્યા હતા. તમને જણાવી દઈએ કે, સરફરાઝ ઉપરાંત તેના ભાઈ મુશીર ખાને પણ ગોવા સામેની મેચમાં 60 રનની ઈનિંગ રમી. મુશીરે 66 બોલમાં 60 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ છે. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 93 રનની પાર્ટનરશિપ 60 બોલમાં થઈ હતી. આ પહેલા બંને ભાઈઓએ ઉત્તરાખંડ સામે પણ શાનદાર બેટિંગ કરી હતી. ઉત્તરાખંડ સામેની મેચમાં બંનેએ સાથે મળીને 107 રન બનાવ્યા હતા.
સરફરાઝ ખાનનો કહેર
ગોવા સામે સરફરાઝ ખાને 75 બોલમાં 9 ચોગ્ગા અને 14 છગ્ગા ફટકારીને 157 રન બનાવ્યા. તેની આ ઈનિંગ 209.33ના સ્ટ્રાઈક રેટ સાથે આવી છે. સરફરાઝ ખાને પોતાની 157 રનની ઈનિંગમાં 120 રન તો ચોગ્ગા અને છગ્ગાની મદદથી જ બનાવી દીધા. સરફરાઝ ખાનનું તાજેતરનું ફોર્મ શાનદાર રહ્યું છે. તે ઘરેલુ ક્રિકેટમાં સતત રન બનાવી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે વિજય હજારે ટ્રોફીની ચાર મેચોની ત્રણ ઈનિંગમાં એક ફિફ્ટી અને એક સદી ફટકારી છે.
સરફરાઝને વનડે ટીમમાં સ્થાન મળવાની આશા વધી
સરફરાઝને આશા હશે કે ન્યૂઝીલેન્ડ સામેની આગામી ત્રણ મેચની વનડે સીરિઝ માટે ટીમની જાહેરાત કરવામાં આવે, ત્યારે તેની આ ઈનિંગ્સને ધ્યાનમાં લેવામાં આવશે. હવે તેની પસંદગી થાય છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. ન્યૂઝીલેન્ડ સામેની આગામી વનડે સીરિઝ માટે ભારતીય ટીમનું એલાન 5 જાન્યુઆરીએ થવાની શક્યતા છે.

