આ ટીમ એટલી ખરાબ નથી, જો મારા સમયમાં આવું બન્યું હોત, તો...: ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રી

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરની ટેસ્ટ ક્રિકેટમાં સતત નિષ્ફળતાઓને કારણે ભારે ટીકા થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામેની હાર, ઈંગ્લેન્ડ સાથે ડ્રો અને ફક્ત વેસ્ટ ઈન્ડિઝ સામેની જીતે તેમના કોચિંગ કાર્યકાળ અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. હવે આ મુદ્દા પર ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પોતાનો અભિપ્રાય આપ્યો છે, અને તેમના નિવેદને માહોલને વધુ ગરમ કર્યો છે.
રવિ શાસ્ત્રીનું નિવેદન
જ્યારે શાસ્ત્રીને પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં ગંભીરના પ્રદર્શન વિશે પૂછવામાં આવ્યું, ત્યારે કોઈ બચાવ કરવાને બદલે, તેમણે સ્પષ્ટપણે કહ્યું, "હું તેને પ્રોટેક્ટ કરી રહ્યો નથી. કોચની પણ 100% જવાબદારી હોય છે. જો મારા સમયમાં આવું બન્યું હોત, તો હું જવાબદારી લેનાર પ્રથમ વ્યક્તિ હોત. તે પછી, ટીમ મીટિંગમાં મેં ખેલાડીઓને પણ બક્ષ્યા ન હોત." તેમનું આ નિવેદન મહત્વપૂર્ણ છે કારણ કે ભારતની તાજેતરની ટેસ્ટ હારમાં બેટ્સમેનોનું પ્રદર્શન સૌથી મોટા મુદ્દા તરીકે ઉભરી આવ્યું છે.
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ હાર પર ભડક્યા શાસ્ત્રી
શાસ્ત્રીએ ગુવાહાટી ટેસ્ટમાં ભારતના આઘાતજનક બેટિંગ પ્રદર્શન પર ગુસ્સો વ્યક્ત કર્યો અને કઠોર ટિપ્પણીઓ કરી. ભારત અચાનક 100/1 થી 130/7 પર સમેટાઈ ગયું હતુ, જેના કારણે હારનો સામનો કરવો પડ્યો હતો. શાસ્ત્રીએ કહ્યું, "આ ટીમ એટલી ખરાબ નથી કે આટલો ઘટાડો અચાનક થાય. ખેલાડીઓએ પણ પોતાની જવાબદારી સમજવાની જરૂર છે. આ એ જ બેટ્સમેન છે જે બાળપણથી સ્પિન રમતા આવ્યા છે, તો આ સમસ્યા શા માટે?" તેમના નિવેદનથી સ્પષ્ટ થયું કે મુદ્દો ફક્ત કોચિંગનો નથી, પરંતુ ખેલાડીઓની માનસિકતા અને શોટ પસંદગીનો પણ છે.
BCCIએ અચાનક બેઠક બોલાવી
આ બધા વચ્ચે BCCIએ ગંભીર અને અગરકર સાથે અચાનક બેઠક બોલાવી છે. રવિ શાસ્ત્રીના નિવેદન વચ્ચે, સમાચાર આવ્યા છે કે BCCIએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે, જેમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર, મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને BCCIના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપશે. ટેસ્ટ ટીમના સતત ઘટતા પ્રદર્શન અને ટીમ મેનેજમેન્ટના કેટલાક નિર્ણયો અંગે ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્નોને કારણે આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

