VIDEO / ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન થયો ભાવુક, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી કહી આ વાત
ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં જ આયર્લેન્ડ સામેની 2 મેચોની T20 સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતની આયર્લેન્ડ સામે કોઈપણ ફોર્મેટની સિરીઝમાં આ પ્રથમ હાર હતી, જે નવા T20 કેપ્ટન શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ હેઠળ મળી છે. સિરીઝમાં આ શરમજનક હાર બાદ ભારતના પૂર્વ કેપ્ટન સૂર્યકુમાર યાદવે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે, જેને જોઈને તમારી આંખો દુઃખથી નહીં પણ ખુશીથી છલકાઈ જશે. સૂર્યકુમાર યાદવે 2024ના T20 વર્લ્ડ કપને યાદ કરીને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે. રોહિત શર્માની કેપ્ટનશિપવાળી ટીમ ઈન્ડિયાએ 2 વર્ષ પહેલા 29 જૂનના રોજT20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 11 વર્ષથી ચાલી રહેલા ICC ટ્રોફીના દુષ્કાળનો અંત લાવ્યો હતો.
સૂર્યકુમાર યાદવની ભાવુક પોસ્ટ
બે તસવીરો શેર કરતા સૂર્યકુમાર યાદવે સોશિયલ મીડિયા પર લખ્યું, "રમતમાં કેટલીક એવી ક્ષણો હોય છે, જે હંમેશા તમારી સાથે રહે છે. દરેક બલિદાન, દરેક મુશ્કેલી, દરેક પ્રેક્ટિસ સેશન, સ્ટેન્ડ્સમાંથી મળતો દરેક સપોર્ટ, આ બધાએ મળીને તે યાદગાર રાતને શક્ય બનાવી હતી."
'પ્રેમની અનુભૂતિ કરાવવા બદલ આભાર'
સૂર્યકુમારે આગળ લખ્યું, "શ્રેષ્ઠ લોકો સાથે આ ક્ષણ શેર કરવા બદલ અને વિશ્વભરના લાખો ભારતીયો સાથે તેનો અનુભવ કરવા બદલ ગર્વ છે. ફાઈનલ પહેલા, તે દરમિયાન અને તેના ઘણા સમય પછી પણ અમને તમારા પ્રેમની અનુભૂતિ કરાવવા બદલ આભાર. 29 જુન, 2024ની તમારી આ જીતની ઉજવણી કરતા રહીશું."
હવે સૂર્યકુમાર માટે ટીમ ઈન્ડિયામાં વાપસી મુશ્કેલ
કેપ્ટનશિપ પરથી હટાવવાની સાથે સૂર્યકુમારને ટીમ ઈન્ડિયામાંથી પણ બહાર રાખવામાં આવ્યો છે. હવે એક બેટ્સમેન તરીકે તેની ટીમમાં વાપસી થવી ખૂબ જ મુશ્કેલ દેખાઈ રહી છે. ભારત માટે મુખ્યત્વે વ્હાઈટ બોલ ક્રિકેટ રમનારા સૂર્યકુમારે પોતાની કરિયરમાં 1 ટેસ્ટ, 37 ODI અને 113 T20 ઈન્ટરનેશનલ મેચો રમી છે. એકમાત્ર ટેસ્ટમાં સૂર્યકુમારે 8 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ODIમાં તેણે 773 રન સ્કોર કર્યા છે, જ્યારે T20 ઈન્ટરનેશનલમાં 3272 રન બનાવ્યા છે.

