Asia Cup 2025 / 'રાઈવલરી વિશે પ્રશ્નો પૂછવા...', પાકિસ્તાન સામે મેચ જીત્યા બાદ ભારતીય કેપ્ટને આપ્યું મોટું નિવેદન

ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર પાકિસ્તાનને હરાવ્યું છે. ભારતે એશિયા કપની સુપર 4 મેચમાં પાકિસ્તાનને હરાવ્યું, મેચ 6 વિકેટથી જીતી. મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં, ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક નિવેદન આપ્યું જે વાયરલ થયું છે. સૂર્યકુમાર યાદવે કહ્યું કે પાકિસ્તાન સાથે કોઈ રાઈવલરી નથી.
સૂર્યકુમાર યાદવે શું કહ્યું?
પ્રેસ કોન્ફરન્સમાં, એક પત્રકારે ભારતીય કેપ્ટનને પૂછ્યું કે શું આ વખતે પાકિસ્તાની ટીમ વધુ સ્પર્ધાત્મક છે. આ પ્રશ્નના જવાબમાં, સૂર્યકુમાર યાદવે કહ્યું, "મને લાગે છે કે તમારે રાઈવલરી વિશે પ્રશ્નો પૂછવાનું બંધ કરવું જોઈએ. રાઈવલરી ત્યારે હોય છે, જ્યારે બંને ટીમો 15-20 મેચ રમે છે અને એક ટીમ 8-7થી આગળ હોય છે, તેને સારું ક્રિકેટ અથવા રાઈવલરી કહેવામાં આવે છે. પરંતુ જ્યારે પરિણામો એકતરફી હોય છે, ત્યારે તે ફક્ત સારું ક્રિકેટ છે, રાઈવલરી નહીં."
હવે, સૂર્યકુમાર યાદવનું આ નિવેદન વાયરલ થઈ રહ્યું છે. હકીકતમાં, ભારતીય ટીમે પાકિસ્તાન સામે અત્યાર સુધીમાં 15 T20 મેચ રમી છે, જેમાં પાકિસ્તાને ફક્ત ત્રણ જ જીતી છે, જ્યારે ભારતે બાકીની બધી જ મેચમાં તેમને હરાવ્યા છે.
એશિયા કપ 2025નો આગામી મુકાબલો ક્યારે છે?
સોમવારે એશિયા કપમાં કોઈ મુકાબલો નથી. ટુર્નામેન્ટનો આગામી મુકાબલો પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે અબુ ધાબીમાં છે, જે 23 સપ્ટેમ્બરે રાત્રે 8:00 વાગ્યે રમાશે. ભારતનો આગામી મુકાબલો 24 સપ્ટેમ્બરે દુબઈમાં બાંગ્લાદેશ સામે છે.
એશિયા કપ 2025 સુપર-4 પોઈન્ટ્સ ટેબલ
રવિવારના મુકાબલામાં પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યા બાદ, ટીમ ઈન્ડિયા સુપર-4 પોઈન્ટ્સ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે. શનિવારે શ્રીલંકાને હરાવીને બાંગ્લાદેશ બીજા સ્થાને છે. ભારત અને બાંગ્લાદેશના 2-2 પોઈન્ટ છે, પરંતુ નેટ રન રેટના આધારે, ટીમ ઈન્ડિયા (+0.689) બાંગ્લાદેશ (+0.121) થી આગળ છે.
શ્રીલંકા અને પાકિસ્તાન તેની પહેલી સુપર-4 મેચ હારી ગયા છે. શ્રીલંકા -0.121ની નેટ રન રેટ સાથે ત્રીજા સ્થાને છે અને પાકિસ્તાન -0.689ની નેટ રન રેટ સાથે ચોથા સ્થાને છે.

