સૂર્યકુમાર યાદવની પણ કેપ્ટનશીપ છીનવાશેની અટકળો તેજ, આગામી T20 કેપ્ટનની રેસમાં છે આ ખેલાડીઓ

ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2026માં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ઉતરશે. જોકે, તેની પસંદગી પછી જ એવી અટકળોએ જોર પકડ્યું છે કે, આ ટુર્નામેન્ટ કેપ્ટન તરીકે તેમની છેલ્લી ટુર્નામેન્ટ હોઈ શકે છે. સૂર્યકુમારની ઉંમર, તાજેતરના ફોર્મ અને BCCIના ભવિષ્યના પ્લાનિંગને ધ્યાનમાં લેતા આ સવાલ થવો સ્વાભાવિક છે કે, જો સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ છોડી દે તો આગામી T20 કેપ્ટન કોણ બનશે.
સૂર્યકુમાર યાદવનો કેપ્ટનશીપ રેકોર્ડ મજબૂત
રોહિત શર્માએના T20 ક્રિકેટમાંથી સંન્યાસ બાદ BCCI એ સૂર્યકુમાર યાદવને કેપ્ટનશીપની જવાબદારી સોંપી છે. તેને પંડ્યા કરતાં વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. સૂર્યાનો કેપ્ટન તરીકેનો રેકોર્ડ પ્રભાવશાળી રહ્યો છે. ભારત તેની કેપ્ટનશીપમાં અત્યાર સુધીમાં એક પણ T20 સીરિઝ નથી હાર્યું.
39 T20 ઈન્ટરનેશનલ મેચોમાંથી ભારતે 28 મેચ જીતી છે અને માત્ર છ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, 2025માં તેના બેટિંગ પ્રદર્શનમાં સાતત્યનો અભાવ ચોક્કસ જોવા મળ્યો, જે સિલેક્ટર્સ માટે ચિંતાનો વિષય છે. જો T20 વર્લ્ડ કપ 2026 સુધીમાં પણ તેના પ્રદર્શનમાં સુધારો ન થાય તો તેની કેપ્ટનશીપ પર સવાલ ઉઠી શકે છે. હાલની સ્થિતિમાં ત્રણ ખેલાડીઓ આ રેસમાં સૌથી આગળ દેખાઈ રહ્યા છે.
શુભમન ગિલ
ખરાબ ફોર્મના કારણે ભલે શુભમન ગિલને હાલની T20 ટીમમાં ભલે સ્થાન ન મળ્યું હોય, પરંતુ કેપ્ટનશીપની રેસમાં તેનું નામ સૌથી આગળ માનવામાં આવી રહ્યું છે. BCCIની વિચારસરણી રહી છે કે, આગળ ચાલીને ત્રણેય ફોર્મેટમાં એક જ કેપ્ટન રાખવામાં આવે. ગિલ પહેલાથી જ ટેસ્ટ અને વનડે ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. આવી સ્થિતિમાં સૂર્યકુમાર બાદ તેને T20 ટીમની જવાબદારી સોંપવી એ એક સ્વાભાવિક પગલું હોઈ શકે છે. ઉંમર અને ભવિષ્યને જોતા સિલેક્ટર્સ ગિલને લોન્ગ ટર્મ વિકલ્પ માને છે.
શ્રેયસ અય્યર
શ્રેયસ અય્યર કેપ્ટનશીપના મામલે પ્રબળ દાવેદાર છે. IPL 2024માં KKRને ટાઈટલ અને IPL 2025માં પંજાબ કિંગ્સને ફાઈનલ સુધી પહોંચાડ્યા બાદ તેની લીડરશિપની ખૂબ પ્રશંસા થઈ છે. શ્રેયસમાં લીડરશિપ ક્વોલિટી સ્પષ્ટ દેખાઈ છે અને કેપ્ટનશીપમાં તેનું પ્રદર્શન વધુ સારું રહે છે. તેણે IPL 2025માં 604 રન બનાવ્યા હતા. તેની એવરેજ 50થી વધુ અને સ્ટ્રાઈક રેટ પણ 175 પ્લસનો હતો. જો તે T20 ઈન્ટરનેશનલ મેચોમાં સતત તક મેળવીને સારું પ્રદર્શન કરે, તો સિલેક્ટર્સ માટે તેને અવગણવું મુશ્કેલ બનશે.
અક્ષર પટેલ
અક્ષર પટેલને તાજેતરમાં જ T20 ટીમનો વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જે તેના વધતા કદને પ્રતિબિંબિત કરે છે. તે ડ્રેસિંગ રૂમમાં સીનિયર ખેલાડી છે અને મોટી ટુર્નામેન્ટ જીતી ચૂક્યો છે. IPLમાં તેનો કેપ્ટનશિપનો અનુભવ પણ તેમના પક્ષમાં જાય છે. જો સિલેક્ટર્સ એક શાંત અને સંતુલિત કેપ્ટન ઈચ્છે, તો અક્ષર પટેલ પણ એક મજબૂત વિકલ્પ બની શકે છે.

