IND vs AUS: ODI માટે ભારતની ટીમ જાહેર થઈ, ગિલ પહેલીવાર ODI કેપ્ટન બન્યો

ક્રિકેટ જગતથી હાલ મોટા સમાચાર સામે આવ્યા છે. BCCIની બેઠક યોજાઈ હતી, જેમાં ODIમાં રોહિત શર્માને કેપ્ટનશીપ આપવામાં આવી નથી. આમ, ઓસ્ટ્રેલિયા સામેની ODI સિરિઝમાં શુભમન ગિલ કેપ્ટન રહેશે. ટેસ્ટ પછી હવે ગિલ ODIનો પણ કેપ્ટન બન્યો છે. આમ, બે ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ શુભમન ગિલને સોંપવામાં આવી છે. 26 વર્ષીય શુભમન ગિલને કેપ્ટન બનાવવાનો નિર્ણય BCCIએ ટીમ પસંદગી બેઠક બાદ લીધો હતો. હવે ટેસ્ટ બાદ રોહિત શર્મા ODI ટીમની કેપ્ટનશીપ પણ નહીં કરે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં રમશે રોહિત અને વિરાટ
રોહિત શર્મા અને સિનિયર બેટ્સમેન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયાની ODI સિરિઝનો ભાગ છે. બંનેને 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન), અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ધ્રુવ જુરેલ (વિકેટકીપર) અને યશસ્વી જયસ્વાલ.
શ્રેયસ અય્યર બન્યો વાઈસ-કેપ્ટન
BCCIએ સ્ટાર મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરને ODI ટીમનો વાઈસ કેપ્ટન બનાવ્યો છે. અગાઉ ઘણા અહેવાલોમાં દાવો કરાયો હતો કે શ્રેયસ ઐયર રોહિત શર્માનું સ્થાન લેશે, પરંતુ શુભમન ગિલને કેપ્ટન્સી મળી છે. આ નિર્ણય સ્પષ્ટપણે દર્શાવે છે કે BCCI ભવિષ્યમાં દરેક ફોર્મેટ માટે એક જ કેપ્ટન રાખવાનો ઇરાદો ધરાવી રહ્યું છે.
19 ઓક્ટોબરથી રમાશે ODI
શુભમન ગિલ 19 ઓક્ટોબરે કેપ્ટન તરીકે પોતાની પહેલી વનડે રમશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 ઓક્ટોબરે પર્થમાં પહેલી વનડે રમાશે. ત્યારબાદ 23 ઓક્ટોબરે એડિલેડમાં બીજી અને અંતિમ તેમજ ત્રીજી વનડે 25 ઓક્ટોબરે સિડનીમાં રમાશે.

