ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ પહેલા વિજય હજારે ટ્રોફીમાં ધમાલ મચાવશે શુભમન ગિલ, અર્શદીપ સિંહ પણ રમશે મેચ

શુભમન ગિલ પોતાના મનપસંદ ફોર્મેટમાં બેટથી ધમાલ મચાવવા માટે તૈયાર છે. ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની ODIમાં કેપ્ટન ગિલની વાપસી નિશ્ચિત માનવામાં આવે છે. જોકે, કિવી ટીમ સામે મેદાનમાં ઉતરતા પહેલા શુભમન વિજય હજારે ટુર્નામેન્ટમાં રમતો જોવા મળશે. અહેવાલો અનુસાર શુભમન સાથે અર્શદીપ સિંહ પણ પંજાબની ટીમમાં રમતો જોવા મળશે.
શુભમન અને અર્શદીપ ધમાલ મચાવશે
શુભમન ગિલ અને અર્શદીપ સિંહ વિજય હજારે ટ્રોફીમાં પંજાબ માટે આગામી બે મેચ રમતા જોવા મળશે. એક અહેવાલ મુજબ શુભમન અને અર્શદીપ 3 જાન્યુઆરીએ સિક્કિમ અને 6 જાન્યુઆરીએ ગોવા સામેની મેચોમાં પંજાબની ટીમની તાકાત બમણી કરશે. તમને જણાવી છે કે શુભમનને T20 વર્લ્ડ કપ 2026 માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યો.
જોકે, અર્શદીપ વર્લ્ડ કપ ટીમનો ભાગ છે. એવું માનવામાં આવે છે કે અર્શદીપને ODI સિરીઝ માટે આરામ આપવામાં આવી શકે છે. તેને પાંચ મેચની T20I સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યો છે.
શુભમન સાઉથ આફ્રિકા સામે ફ્લોપ રહ્યો
સાઉથ આફ્રિકા સામેની T20I સિરીઝમાં શુભમન ગિલ ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો. ગિલ 3 મેચમાં ફક્ત 32 રન બનાવી શક્યો હતો. પ્રથમ T20Iમાં શુભમન 4 રન બનાવીને આઉટ થયો, જ્યારે બીજી મેચમાં તે પોતાનું ખાતું ખોલવામાં પણ નિષ્ફળ ગયો હતો અને ત્રીજી T20Iમાં શુભમને 28 બોલ રમીને 28 રન બનાવ્યા હતા. આ પ્રદર્શનને કારણે શુભમન વર્લ્ડ કપની ટીમમાંથી બહાર થઈ ગયો. જોકે, શુભમન ચોક્કસપણે ODI ફોર્મેટમાં મજબૂત પ્રદર્શન કરીને સિલેક્ટર્સને યોગ્ય જવાબ આપવા માંગશે.

