Asia Cup માટે ભારતીય સ્કવોડમાં જગ્યા ન મળતા છલકાયું શ્રેયસ અય્યરનું દર્દ, કહ્યું- 'ટીમમાં સ્થાન ન મળે ત્યારે...'

એશિયા કપ 2025 મંગળવારે (9 સપ્ટેમ્બર) થી શરૂ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા 10મી સપ્ટેમ્બરે સંયુક્ત આરબ અમીરાત (UAE) સામેની મેચથી તેના અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 14મી સપ્ટેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. એશિયા કપમાં સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે. શુભમન ગિલને ટીમ ઈન્ડિયાનો વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જોકે, એશિયા કપ માટે ટીમમાં પસંદગી ન થવા પર સ્ટાર બેટર શ્રેયસ અય્યરે મૌન તોડ્યું છે.
ટીમ ઈન્ડિયાના બેટર શ્રેયસ અય્યર શું કહ્યું?
એક મીડિયા ઇન્ટરવ્યુમાં શ્રેયસ અય્યરે ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવે ત્યારે તેમને આવતી માનસિક પડકારો વિશે પણ વાત કરી. આ દરમિયાન શ્રેયસનું દર્દ છલકાયું હતું. તેણે કહ્યું કે, "ખેલાડીએ સખત મહેનત કરતા રહેવું જોઈએ, ભલે કોઈ જુએ કે ન જુએ."
ટીમમાં ખેલાડીની મહેનત અંગે શ્રેયસ અય્યરે કહ્યું, "જ્યારે ખેલાડીને લાગે છે કે તે ટીમમાં રમવાને લાયક છે અને ટીમમાં સ્થાન ન મળે ત્યારે તે નિરાશાજનક હોય છે. પરંતુ જો કોઈ બીજો ખેલાડી સતત સારું પ્રદર્શન કરી રહ્યો હોય અને ટીમ માટે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો હોય, તો તમારે તેને સપોર્ટ કરવો જોઈએ. કારણ કે, અંતિમ લક્ષ્ય ટીમની જીત છે. જ્યારે ટીમ જીતે છે, ત્યારે દરેક ખુશ થાય છે."
શ્રેયસ અય્યર ઈન્ડિયા-A ટીમનું નેતૃત્વ કરશે
ઓસ્ટ્રેલિયા-A સામે બે મલ્ટી-ડે મેચોમાં શ્રેયસ અય્યર ઈન્ડિયા-A ટીમનું નેતૃત્વ કરશે. આ બંને મેચ લખનૌમાં રમાશે. ઈન્ડિયા-Aની ટીમમાં પ્રસિદ્ધ કૃષ્ણા, ખલીલ અહેમદ, ધ્રુવ જુરેલ, દેવદત્ત પડિક્કલ જેવા સ્ટાર ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. કેએલ રાહુલ અને મોહમ્મદ સિરાજ બીજી મેચ માટે ઈન્ડિયા-A ટીમમાં જોડાશે.
ઓસ્ટ્રેલિયા-A અને ઈન્ડિયા-A મેચનું શેડ્યૂલ
- પહેલી મલ્ટી-ડે મેચ: 16-19 સપ્ટેમ્બર, લખનૌ
- બીજી મલ્ટી-ડે મેચ: 23-26 સપ્ટેમ્બર, લખનૌ
- પહેલી ODI: 30 સપ્ટેમ્બર, કાનપુર
- બીજી ODI: 3 ઓક્ટોબર, કાનપુર
- ત્રીજી ODI: 5 ઓક્ટોબર, કાનપુર

