ઓસ્ટ્રેલિયા વનડે સીરિઝ બાદ રોહિત શર્માનું મોટું નિવેદન, BCCI સાથે કરી આ વાતચીત

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેના બેટ દ્વારા જોરદાર પ્રદર્શન કર્યું, જે ભારતીય ટીમ માટે તેની યોગ્યતા સાબિત કરે છે. રોહિતે 223 દિવસ પછી ભારતીય ટીમ માટે મેચ રમી હતી. પર્થમાં રોહિત સસ્તામાં આઉટ થયો હતો, પરંતુ તેણે એડિલેડ ODIમાં અડધી સદી ફટકારી હતી, જ્યારે સિડનીમાં તેણે અણનમ સદી સાથે ભારતને ક્લીન સ્વીપથી બચાવ્યું હતું.
રોહિત બન્યો હતો પ્લેયર ઓફ ધ સીરિઝ
રોહિતે મે મહિનામાં IPL 2025 પછી કોઈ સ્પર્ધાત્મક ક્રિકેટ રમી ન હતી. તેણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર આવતા પહેલા સખત તાલીમ લીધી હતી. તેણે ઓસ્ટ્રેલિયામાં પોતાની સફળતાનો શ્રેય આ તૈયારીને આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 2-1થી સીરિઝ જીતી હતી, પરંતુ ભારતીય ચાહકોને રોહિત અને વિરાટ કોહલીને રન બનાવતા જોઈને આનંદ થયો હતો. રોહિતને તેની શાનદાર બેટિંગ માટે પ્લેયર ઓફ ધ સીરિઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
'હું સમજી ગયો હતો કે મારે બાકીના કરિયર માટે શું કરવાની જરૂર છે'
આ બધાની વચ્ચે ઓસ્ટ્રેલિયા સામે રમ્યા બાદ રોહિતે BCCIની વેબસાઈટ પર કહ્યું હતુ કે, 'જ્યારથી મેં રમવાનું શરૂ કર્યું છે, ત્યારથી મને સીરિઝની તૈયારી માટે ચારથી પાંચ મહિનાનો સમય મળ્યો નથી, તેથી હું તેનો ઉપયોગ કરવા માંગતો હતો. હું મારી રીતે મારી પોતાની શરતો પર બધું કરવા માંગતો હતો, અને તે મારા માટે ખરેખર સારું હતું. કારણ કે હું સમજી ગયો હતો કે મારે બાકીના કરિયર માટે શું કરવાની જરૂર છે. તે સમયનો ઉપયોગ કરવો જરૂરી હતો કારણ કે, જેમ મેં પહેલા કહ્યું હતું, મારી પાસે પહેલાં ક્યારેય આટલો સમય નહોતો, અને મેં ઘરે જ સારી તૈયારી કરી હતી.'
'મેં મારી જાતને ઘણો સમય આપ્યો હતો'
રોહિતે વધુમાં આગળ કહ્યું હતુ કે, 'એટલે અહીં આવ્યા પહેલા મેં જે રીતે તૈયારી કરી હતી તેને ઘણો શ્રેય આપું છું. મેં મારી જાતને ઘણો સમય આપ્યો હતો. તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતું કારણ કે ક્યારેક તમારે સમજવાની જરૂર હોય છે કે, જીવનમાં તમે વ્યવસાયિક રીતે જે કરો છો તેના કરતાં ઘણું કરવાનું છે, પરંતુ મારી પાસે ઘણો સમય હતો, તેથી મેં તેનો ઉપયોગ કર્યો.'
તમને જણાવી દઈએ કે, રોહિત શર્મા ભારત પરત આવી ગયો છે, જેનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અહીં પણ તેનો એક વીડિયો દર્શાવવામાં આવ્યો છે.

