હવે ODIમાં 'શુભમન' યુગનો પ્રારંભ, રોહિત શર્મા પાસેથી છીનવાઇ કેપ્ટન્સી

રોહિત શર્મા પાસેથી ભારતની વન ડે ટીમની કેપ્ટન્સી છીનવી લેવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રણ વન ડે મેચની સિરીઝ માટે જાહેર થયેલી ભારતીય ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ સામેલ છે પરંતુ કેપ્ટન શુભમન ગિલને બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ અંતિમ વન ડે મેચ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ આ વર્ષે 9 માર્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં રમી હતી.
7 મહિના પછી રોહિત-વિરાટ મેચ રમશે
ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સાત મહિના બ્રેક બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી બન્ને મહેનત કરી રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિરાટ કોહલીએ પાકિસ્તાન વિરૂદ્ધ સદી ફટકારી હતી અને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સેમિ ફાઇનલમાં ટોપ સ્કોરર રહ્યો હતો. રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ફાઇનલ મેચમાં મેચ વિનિંગ ઇનિંગ રમીને પોતાના ખરાબ ફોર્મને દૂર કર્યું હતું.
રોહિત શર્માનો ODIમાં કેપ્ટન તરીકે રેકોર્ડ
રોહિત શર્માનો ODIમાં કેપ્ટન તરીકેનો રેકોર્ડ ખૂબ જ પ્રભાવશાળી છે. રોહિત શર્માએ ભારતને ODIમાં લીડ કરતા 56 મેચ રમી છે જેમાંથી 42માં જીત, 12 મેચમાં હાર, 1 ડ્રો અને 1 મેચનું કોઇ પરિણામ આવી શક્યું નથી. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયાની જીતની ટકાવારી 74.07% છે.
રોહિત શર્મા પાસેથી કેપ્ટન્સી કેમ છીનવાઇ? ચીફ સિલેક્ટરે આપ્યો જવાબ
અજીત અગરકરે જણાવ્યું કે અમે વન ડે કેપ્ટન્સીને લઇને રોહિત શર્મા સાથે વાત કરી છે. વન ડે વર્લ્ડકપ 2027ને જોતા ગિલને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમમાં પ્રથમ વિકેટ કીપર તરીકે કેએલ રાહુલને પસંદ કરવામાં આવ્યો છે જ્યારે ધ્રુવ જુરેલને બીજા વિકેટ કીપરના રૂપમા ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ટીમમાં જસપ્રીત બુમરાહને પણ જગ્યા આપવામાં આવી નથી.
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતની વન ડે ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), શ્રેયસ અય્યર (વાઇસ કેપ્ટન), રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી,કેએલ રાહુલ (વિકેટ કીપર), ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમા રરેડ્ડી, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા.
------

