રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027નો ODI WC રમશે? જાણો શું બોલ્યા ટ્રેવિસ હેડ

19 ઓક્ટોબર, રવિવારના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાવા જઈ રહી છે. આ પહેલા, ટ્રેવિસ હેડ અને અક્ષર પટેલ પ્રેસના પ્રશ્નોના જવાબ આપવા પહોંચ્યા હતા. જ્યારે આ વિસ્ફોટક ઓસ્ટ્રેલિયન બેટ્સમેનને વિરાટ કોહલી અને રોહિત શર્માના ODI ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કંઈક એવું કહ્યું કે તેની બાજુમાં ઉભો રહેલ અક્ષર પટેલ પણ હસી પડ્યો હતો.
ટ્રેવિસ હેડે રોહિત શર્મા અને વિરાટ કોહલી વિશે શું કહ્યું?
આજે 17 ઓક્ટોબર, શુક્રવારે પર્થમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ પહેલા, ટ્રેવિસ હેડ અને અક્ષર પટેલ પ્રેસના પ્રશ્નોના જવાબ આપવા માટે સાથે પહોંચ્યા હતા. હેડને જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્માના ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, "તેઓ ભારત માટે શાનદાર રહ્યા છે, મને લાગે છે કે અક્ષર તેમના વિશે મારા કરતાં વધુ સારી રીતે કહી શકશે. પરંતુ બે મહાન ખેલાડીઓ, બે શ્રેષ્ઠ વ્હાઇટ બોલ ક્રિકેટર. વિરાટ કદાચ વ્હાઇટ બોલ ક્રિકેટમાં સૌથી મહાન ખેલાડી છે, રોહિત પણ તેનાથી બહું પાછળ નથી."
હેડએ આગળ કહ્યું, "રોહિતે ઓપનિંગ બેટ્સમેન તરીકે જે કર્યું છે તેના માટે મને ખૂબ માન છે. ક્યારેક તેની ખોટ સાલશે, પણ મને લાગે છે કે તે બંને 2027 સુધી તો રમશે." આ કહેતા તેણે અક્ષર પટેલ તરફ જોયું, અને અક્ષર હસ્યો. તેણે ઉમેર્યું, "તેઓ બંને વર્લ્ડ કપ સુધી રમવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે રમત માટે એક સારી બાબત છે કે તેઓ હજુ પણ રમી રહ્યા છે."
રોહિત અને વિરાટ રમવા માટે તૈયાર - અક્ષર પટેલ
ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલે વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે કહ્યું કે, બંને વ્યાવસાયિક છે અને શું કરવું તે જાણે છે. બંને સિરિઝની પહેલી મેચ રમવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. પટેલે કહ્યું કે, " તેમને ખબર છે કે શું કરવું. તેઓ રમવા માટે તૈયાર છે. જો તમે તેમના ફોર્મની વાત કરો, તો તેઓ સારી તૈયારી કરી રહ્યા છે. બધાએ પોતાના ફિટનેસ ટેસ્ટ આપ્યા છે, અને તેઓ હવે રમવા માટે તૈયાર છે."

