IND vs SL / શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાનો વધુ એક ખેલાડી ઈજાગ્રસ્ત થયો? કોચે મૌન તોડ્યું

ભારત અને શ્રીલંકા 15 ઓગસ્ટથી બે મેચની ટેસ્ટ સિરીઝ રમવાના છે. આ પહેલા શુભમન ગિલની કેપ્ટનશિપ હેઠળની ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા XI સામે ત્રણ દિવસીય વોર્મઅપ મેચ રમી હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ 6 વિકેટથી જીત મેળવી હતી. હવે, ટેસ્ટ સિરીઝ પહેલા ભારતના સ્ટાર સ્પિનરને લઈને ટેન્શન વધી ગયું છે. નિયમિત કેપ્ટન ગિલ ઈજાને કારણે વોર્મઅપ મેચમાં પહેલા બે દિવસ ભાગ નહતો લઈ શક્યો. પરંતુ હવે સવાલ એ છે કે શું ગિલ પછી કુલદીપ પણ ઈજાગ્રસ્ત થયો છે?
વોર્મઅપ મેચની પહેલી ઈનિંગ દરમિયાન, ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવે 18 ઓવર ફેંકી હતી, પરંતુ તેણે બીજી ઈનિંગમાં એક પણ ઓવર નહતી ફેંકી. આના કારણે તેની ઈજા અંગે અટકળો શરૂ થઈ હતી. ભારતના સ્પિન બોલિંગ કોચ, સાઈરાજ બહુતુલેએ કુલદીપની બોલિંગમાંથી ગેરહાજરી પર પ્રતિક્રિયા આપી છે.
સાઈરાજ બહુતુલે કુલદીપ યાદવ વિશે શું કહ્યું?
સાઇરાજ બહુતુલેએ જણાવ્યું કે ટીમ ઈચ્છતી હતી કે કુલદીપ બીજી ઈનિંગમાં આરામ કરે. કુલદીપને તેના વર્કલોડને મેનેજ કરવા માટે બીજી ઈનિંગમાં બોલિંગ નહતી કરાવી. તેણે પહેલી ઈનિંગમાં લાંબો સ્પેલ બોલિંગ કરી હતી અને તે જોવા માંગતો હતો કે તેનું શરીર કેવું અનુભવે છે. પહેલી ઈનિંગમાં 18 ઓવર બોલિંગ કરનાર કુલદીપ યાદવે બે વિકેટ લીધી હતી.
કુલદીપ યાદવ સંપૂર્ણપણે ફિટ છે
તમને જણાવી દઈએ કે કુલદીપ શ્રીલંકા ટેસ્ટ સિરીઝ માટે સંપૂર્ણપણે ફિટ છે. તેણે ફક્ત એક વિરામ લીધો હતો. તે શ્રીલંકા ટેસ્ટ સિરીઝ માટે ઉપલબ્ધ છે, તેથી ફેન્સે ચિંતા કરવાની જરૂર નથી.
કુલદીપ યાદવની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
કુલદીપની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર એક નજર કરીએ તો, તેણે 18 ટેસ્ટ, 121 ODI અને 54 T20I મેચ રમી છે. 34 ટેસ્ટ ઈનિંગ્સમાં તેણે 79 વિકેટ લીધી છે, જેમાં શ્રેષ્ઠ બોલિંગ ફિગર 8/113 છે. 118 ODI ઈનિંગ્સમાં કુલદીપે 194 વિકેટ લીધી છે, જેમાં શ્રેષ્ઠ બોલિંગ ફિગર 6/25 છે. T20I મેચોમાં કુલદીપે 95 વિકેટ લીધી છે, જેમાં બોલિંગ ફિગર 5/17 છે.

