PCB ચીફ Mohsin Naqviએ BCCIની માફી માંગી, ટ્રોફી અને મેડલ પરત કરવાનો ઇનકાર

એશિયા કપ 2025નો ખિતાબ જીત્યા બાદ ભારતીય ખેલાડીઓએ PCB ચીફ મોહસીન નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઇનકાર કર્યો હતો. નકવીએ નૌટંકી કરતા એશિયા કપની ટ્રોફી પોતાની સાથે લઇને જતા રહ્યા હતા. હવે મોહસીન નકવીએ માફી માંગી છે. તે બાદ ટ્રોફી ભારત આવવાની સંભાવના વધી ગઇ છે.
શું છે ઘટના?
એશિયા કપ 2025ની ફાઈનલમાં સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું. ભારતીય ટીમે એશિયા કપ જીત્યો પરંતુ ટ્રોફી વિના ઉજવણી કરી. ભારતીય ટીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. ત્યારબાદ મોહસીન નકવી એશિયા કપ ટ્રોફી લઈને પોતાના હોટલ પરત ફર્યા.
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) મોહસીન નકવીને સ્પષ્ટપણે કહ્યું હતું કે, 'ટ્રોફી ભારતને આપી દેવી જોઈએ.' મોહસીન નકવીએ BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાની અપીલને પણ ફગાવી દીધી હતી. રાજીવ શુક્લાએ મંગળવારે (30મી સપ્ટેમ્બર) ACC બેઠકમાં એશિયા કપ ટ્રોફી ભારતને રજૂ કરવાની ભારપૂર્વક માંગ કરી હતી, પરંતુ નકવીએ આગ્રહ કર્યો હતો કે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટ્રોફી લેવા માટે ACC ઓફિસમાં આવે.
નકવીનું વર્તન દુર્ભાગ્યપૂર્ણ: દેવજીત સૈકિયા
BCCI સચિવ દેવજીત સૈકિયાએ મોહસીન નકવીના વર્તનને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને રમતની ભાવના સામે ગણાવ્યું. તેમણે કહ્યું, 'અમે મોહસીન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તેનો અર્થ એ નથી કે તેણે ટ્રોફી અને મેડલ લઈને ભાગી જવું જોઈએ. આ શરમજનક છે, અને અમને આશા છે કે ટ્રોફી ટૂંક સમયમાં ભારતને સોંપવામાં આવશે.'
BCCIના અધિકારીઓએ આગ્રહ કર્યો કે એશિયા કપ ટ્રોફી ભારતને સોંપવામાં આવે. અહેવાલ અનુસાર, ACC મીટિંગમાં કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. આનો અર્થ એ થયો કે ભારતે એશિયા કપ 2025 જીતી લીધો હશે, પરંતુ ટ્રોફી મોહસીન નકવી પાસે જ રહેશે. આ મામલો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) સુધી પહોંચી શકે છે.

