શું જસપ્રીત બુમરાહ માન્ચેસ્ટર ટેસ્ટમાં રમશે? મોહમ્મદ સિરાજે આપ્યું મોટું અપડેટ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બુધવારથી માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ મેચ રમાશે. મોહમ્મદ સિરાજે જસપ્રીત બુમરાહને લઇને મોટું અપડેટ આપ્યું છે. ઇંગ્લેન્ડની ટીમ અત્યારે પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં 2-1થી આગળ છે.
જસપ્રીત બુમરાહ માન્ચેસ્ટર ટેસ્ટમાં રમશે?
જસપ્રીત બુમરાહને લઇને મોહમ્મદ સિરાજે પૃષ્ટી કરી છે. સિરાજે કહ્યું કે બુમરાહ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ચોથી ટેસ્ટ મેચમાં રમશે. મહત્ત્વપૂર્ણ છે કે લૉર્ડ્સમાં રમાયેલી મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે 22 રને હારનો સામનો કરવો પડ્યો હતો. બુમરાહે પાંચ વિકેટ ઝડપી હતી.
ટીમ મેનેજમેન્ટ બુમરાહને આરામ આપવાના મૂડમાં નથી
ભારતીય ટીમ મેનેજમેન્ટે ઇંગ્લેન્ડ સિરીઝ પહેલા સ્પષ્ટ કરી દીધુ હતું કે બુમરાહ વર્કલોડને કારણે માત્ર ત્રણ ટેસ્ટ મેચ જ રમશે. બુમરાહને બર્મિંઘહામમાં રમાયેલી બીજી મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. ટીમ મેનેજમેન્ટ હવે માન્ચેસ્ટરમાં મહત્ત્વની મેચને જોતા બુમરાહને આરામ આપવાના મૂડમાં નથી. બુમરાહ વર્તમાન સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બીજો બોલર છે. બુમરાહે 2 મેચમાં 12 વિકેટ ઝડપી છે. બુમરાહ કરતા આગળ સિરાજ છે. સિરાજે 3 મેચમાં 13 વિકેટ ઝડપી છે.
સિરાજે પ્રેસ કોન્ફરન્સમાં જસપ્રીત બુમરાહના સવાલ પર કહ્યું કે, જ્યાં સુધી મને ખબર છે જસ્સી ભાઇ તો રમશે.
ભારતને મોટો ઝટકો
ચોથી ટેસ્ટ મેચ પહેલા ભારતને ડબલ ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ઘૂંટણની ઇજાને કારણે સિરીઝની બાકી મેચમાંથી બહાર થઇ ગયો છે. ફાસ્ટ બોલર આકાશદીપ અને અર્શદીપસિંઘ પણ ઇજાગ્રસ્ત છે. અર્શદીપ ચોથી ટેસ્ટમાંથી બહાર થઇ ચુક્યો છે. સિરાજે કહ્યું, દરરોજ સંયોજન બદલાઇ રહ્યું છે પરંતુ અમારી યોજના સારી જગ્યાએ બોલિંગ ચાલુ રાખવાની છે. ગત મેચમાં ઇંગ્લેન્ડે ધીરજ સાથે બેટિંગ કરી હતી. અમને પણ સારૂ લાગ્યું અને અમે ટેસ્ટ ક્રિકેટનો ભરપૂર આનંદ લીધો. તે પછી જે પણ કરે, અમારી યોજના સારી જગ્યાએ બોલિંગ ચાલું રાખવાની છે.
ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટમાં આવી હોઇ શકે છે ભારતીય ટીમ
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, કરૂણ નાયર, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત, રવિન્દ્ર જાડેજા,વોશિંગ્ટન સુંદર,પ્રસિદ્ધ ક્રિષ્ણા/શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, અંશુલ કંબોજ

