VIDEO: શું હાર્દિક પાસેથી છીનવી લેવાશે કેપ્ટનનું પદ? ખરાબ પ્રદર્શન પર કિરોન પોલાર્ડે કહ્યું- 'અમે તેને દરેક તક...'
ઈન્ડિયન પ્રીમિયર લીગની 69મી મેચ રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. છેલ્લી લીગ સ્ટેજ મેચમાં રાજસ્થાન સામેની હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ કોચ કિરોન પોલાર્ડે રવિવારે સ્વીકાર્યું કે કેપ્ટન હાર્દિક પંડ્યા ફ્રેન્ચાઈઝીની અપેક્ષાઓ પર ખરો નથી ઉતર્યો. આ હાર સાથે મુંબઈ ઈન્ડિયન્સનું અભિયાન 10 ટીમોના પોઈન્ટ્સ ટેબલમાં નવમા સ્થાને સમાપ્ત થયું.
પોલાર્ડે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ વિશે ખુલી વાત કરતા કહ્યું કે આ સિઝન હાર્દિક કે ટીમ મેનેજમેન્ટની અપેક્ષા મુજબ નહતી. મેચ પછી પત્રકારો સાથે વાત કરતા તેણે કહ્યું, "નેતૃત્વના દૃષ્ટિકોણથી, વસ્તુઓ હાર્દિકની અપેક્ષા મુજબ નહતી ગઈ. પરંતુ એક વાત ચોક્કસ છે અમે તેને ટીમનું નેતૃત્વ કરવા અને સફળ થવા માટે દરેક તક આપી."
જોકે, પોલાર્ડે ટીમના ખરાબ પ્રદર્શન માટે કોઈપણ એક ખેલાડીને દોષ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. 14 મેચમાં ટીમની 10મી હાર બાદ, તેણે કહ્યું કે આ આખી ટીમની સામૂહિક નિષ્ફળતા છે અને દરેકે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. તેણે કહ્યું, "અહીં બેસીને કોઈ એક ખેલાડીને દોષ આપવો યોગ્ય નહીં રહે. હાર્દિક પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો હતો, અમે બધા પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ વસ્તુઓ અમારી અપેક્ષા મુજબ ન થઈ. હવે અમારે અમારી ભૂલોમાંથી શીખવાની જરૂર છે. અમે બેસીને સમીક્ષા કરીશું અને શોધીશું કે આગળ જતાં ટીમ માટે શું શ્રેષ્ઠ છે. આશા છે કે, આગામી 12 મહિનામાં અમે મજબૂત બનીને પાછા આવીશું."
પોલાર્ડે ટીમમાં મોટા ફેરફારોની શક્યતા પર પણ પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું કે આ સમયે લાગણીઓના આધારે કોઈ નિર્ણય લેવાનું યોગ્ય નહીં રહે, જોકે કેટલાક પાસાઓની ચોક્કસપણે સમીક્ષા કરવામાં આવશે. પોલાર્ડના મતે, "અત્યારે તેના વિશે ચર્ચા કરવાનો આ યોગ્ય સમય નથી. દરેક ખેલાડી અને સપોર્ટ સ્ટાફને શાંતિથી સમજવા માટે થોડો સમય જોઈએ છે કે ખામીઓ ક્યાં છે. કોઈપણ ઉતાવળિયો નિર્ણય ટીમ મેનેજમેન્ટના દૃષ્ટિકોણથી બેજવાબદાર રહેશે."
પોલાર્ડે અંતિમ લીગ મેચ માટે જસપ્રીત બુમરાહને આરામ આપવાના નિર્ણયનો પણ બચાવ કર્યો. તેણે તેને ટીમ અને ભારતીય ક્રિકેટ બંનેના હિતમાં લેવાયેલો સમજદારીભર્યો નિર્ણય ગણાવ્યો. પોલાર્ડે કહ્યું, "જસપ્રીત એક એવો ખેલાડી છે જે હંમેશા પોતાનું 100 ટકા આપે છે. પરંતુ જો અમે આ મેચ જીતીએ તો પણ અમને ફક્ત બે પોઈન્ટ જ મળવાના હતા. તેથી, અમારે ખેલાડીની ફિટનેસ અને ભવિષ્યને ધ્યાનમાં રાખવાનું હતું. તે ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સંપત્તિ છે, તેથી તેની સાથે સમજદારીભર્યો નિર્ણય લેવો મહત્ત્વપૂર્ણ હતો."

