મેગા ઓક્શનમાં નહતો મળ્યો કોઈ ખરીદનાર, છતાં IPL 2025માં રમશે આ ખેલાડી?

22 માર્ચથી IPL 2025 શરૂ થવા જઈ રહી છે. આ IPLની 18મી સિઝન હશે, જેના માટે બધી ટીમો સખત તૈયારી કરી રહી છે. એક ટીમ તેના ખેલાડીઓની ઈજાઓ સાથે પણ સંઘર્ષ કરી રહી છે. આ ટીમના 3 સ્ટાર ફાસ્ટ બોલરો હજુ સુધી ફિટ નથી થયા. આ દરમિયાન, ટીમના ટ્રેનિંગ સેશનમાંથી એક ચોંકાવનારો ફોટો સામે આવ્યો છે. આ ફોટામાં, એક ખેલાડી દેખાય છે જે મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો. એવું માનવામાં આવે છે કે આ ખેલાડીને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
અનસોલ્ડ રહ્યા છતાં IPL ટીમમાં જોડાયો
IPL 2025 પહેલા ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર ચર્ચામાં આવ્યો છે. શાર્દુલ ઠાકુર લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ સાથે જોવા મળ્યો છે. શાર્દુલ ઠાકુર LSG ટ્રેનિંગ કેમ્પમાં જોવા મળ્યા બાદ અફવાઓ શરૂ થઈ છે. તેણે લખનૌમાં LSG ખેલાડીઓ અને તેના કેપ્ટન રિષભ પંત સાથે હોળીની ઉજવણી પણ કરી હતી. આ ઉપરાંત, LSG ટ્રેનિંગ કીટમાં શાર્દુલનો ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, લખનૌ સુપર જાયન્ટ્સના ખેલાડીઓ મોહસીન ખાન, અવેશ ખાન અને મયંક યાદવ હજુ સુધી ટીમ સાથે નથી જોડાયા. આ ત્રણેય ખેલાડીઓને NCA તરફથી IPLમાં રમવાની પરવાનગી નથી મળી. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે શાર્દુલ ઠાકુર LSGમાં પ્રવેશ કરી શકે છે. IPLના નિયમો અનુસાર, જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે, તો ફ્રેન્ચાઇઝી તે ખેલાડીની જગ્યાએ અનસોલ્ડ ખેલાડીઓમાંથી એકને ટીમમાં સામેલ કરી શકે છે.
શાર્દુલ ઠાકુરની IPL કારકિર્દી
શાર્દુલ ઠાકુર અત્યાર સુધી IPLમાં 5 ટીમોનો ભાગ રહી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે 95 મેચ રમી છે. આ મેચોમાં, તેણે 9.22ની ઈકોનોમીથી 94 વિકેટ લીધી છે. ઉપરાંત, તેણે 307 રન બનાવ્યા છે. શાર્દુલ ઠાકુર IPLની છેલ્લી સીઝનમાં CSKનો ભાગ હતો. તેને કુલ 9 મેચ રમવાની તક મળી. જેમાં તેણે ફક્ત 5 વિકેટ લીધી હતી અને તે ખૂબ મોંઘો પણ સાબિત થયો હતો, જેના કારણે આ વખતે તેને કોઈ ખરીદનાર ન મળ્યો.

