IPL 2025 પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદ માટે સારા સમાચાર, ટીમ સાથે જોડાવા તૈયાર છે આ સ્ટાર ખેલાડી

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે ગઈ સિઝનમાં IPLની ફાઈનલમાં જગ્યા બનાવી હતી, પરંતુ ત્યારે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે ટાઈટલ જીતવાનું તેનું સ્વપ્ન ચકનાચૂર કરી નાખ્યું હતું. આ વખતે, પેટ કમિન્સના નેતૃત્વમાં, તેમની નજર ખિતાબ જીતવા પર રહેશે. હવે IPL 2025 શરૂ થાય તે પહેલા જ હૈદરાબાદ ટીમ માટે મોટા સારા સમાચાર આવ્યા છે. સ્ટાર ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ઈજામાંથી સ્વસ્થ થયા બાદ ટીમમાં જોડાવા માટે તૈયાર છે.
નીતિશ રેડ્ડીએ બધી ટેસ્ટ પૂર્ણ કરી
સાઈડ સ્ટ્રેનની સમસ્યામાંથી સ્વસ્થ થયા બાદ નીતિશ કુમાર રેડ્ડી તેની IPL ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદમાં જોડાવા માટે તૈયાર છે. ઈજાના કારણે નીતિશ જાન્યુઆરીથી કોઈ મેચ નથી રમી શક્યો. પીટીઆઈને જાણવા મળ્યું છે કે નીતિશે BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે યો-યો ટેસ્ટ સહિત તમામ ફિટનેસ ટેસ્ટ સફળતાપૂર્વક પાસ કરી છે અને ફિઝિયો દ્વારા તેને રમવા માટે મંજૂરી આપવામાં આવી છે.
ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં ઈજાગ્રસ્ત થયો હતો
આંધ્રપ્રદેશના 21 વર્ષીય ક્રિકેટરે 22 જાન્યુઆરીએ ઈડન ગાર્ડન્સ ખાતે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત માટે પોતાની છેલ્લી મેચ રમી હતી, પરંતુ તેણે તે મેચમાં બેટિંગ કે બોલિંગ નહતી કરી. ચેન્નાઈમાં બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ પહેલા તેણે નેટમાં પ્રેક્ટિસ કરી હતી પરંતુ સાઈડ સ્ટ્રેનનો ભોગ બન્યો હતો જેના કારણે તે પાંચ મેચની T20I સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો.
ગઈ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું
ગયા વર્ષે ખેલાડીઓના મેગા ઓક્શન પહેલા હૈદરાબાદની ટીમે નીતિશ રેડ્ડીને 6 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. તેણે IPLની છેલ્લી સિઝનમાં 13 મેચમાં 143ની સ્ટ્રાઈક રેટથી 303 રન બનાવ્યા હતા. તેણે ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પણ પ્રભાવિત કર્યા અને મેલબોર્નમાં ચોથી ટેસ્ટમાં 114 રનની શાનદાર ઈનિંગ રમી હતી. નીતિશ ટૂંક સમયમાં સનરાઈઝર્સ ટીમમાં જોડાશે જે 23 માર્ચે હૈદરાબાદમાં રાજસ્થાન રોયલ્સ સામે તેની પહેલી મેચ રમશે.

