ભારતીય ક્રિકેટર કર્ણ શર્માએ નિવૃત્તિની જાહેરાત કરી, MI અને CSK સાથે બન્યો હતો IPL ચેમ્પિયન

ભારતીય સ્પિનર કર્ણ શર્માએ નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે 2009માં IPLમાં પ્રવેશ કર્યો હતો અને ભારત માટે કુલ ચાર આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. કર્ણએ તાજેતરમાં UP T20 લીગમાં એક મેચ પછી પોતાની કારકિર્દી વિશે એક મોટી જાહેરાત કરી હતી. શર્માનું IPLમાં એક મોટું નામ હતું, જેણે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ જેવી મોટી ટીમોને ચેમ્પિયન બનાવવામાં મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
કર્ણ શર્માએ નિવૃત્તિની જાહેરાત કરી
UP T20 લીગમાં કાનપુર સુપરસ્ટાર્સ અને મેરઠ મેવેરિક્સ વચ્ચેની મેચ પછી કર્ણ શર્માએ આ મોટી જાહેરાત કરી હતી. 38 વર્ષીય લેગ-સ્પિનરે કહ્યું, "હું હવે નિવૃત્તિ લેવા માંગુ છું. હું મારા પરિવાર, BCCI, રેલ્વે, UPCA, આંધ્રપ્રદેશ, વિદર્ભ ક્રિકેટ એસોસિએશન અને આ સફરમાં મને ટેકો આપનારા દરેકનો આભારી છું." કર્ણ શર્મા 25 ઓગસ્ટે UP T20 લીગમાં પોતાની છેલ્લી મેચ રમશે.
કર્ણ એક નવી સફર શરૂ કરશે
કર્ણ શર્માએ માત્ર નિવૃત્તિની જાહેરાત જ નહીં પરંતુ તેના ભવિષ્ય વિશે પણ અપડેટ આપ્યું. તેણે સ્પષ્ટ કર્યું કે નિવૃત્તિ પછી, તે કોચિંગ કારકિર્દી બનાવશે. કર્ણે કહ્યું, "નિવૃત્તિ પછી હું કોચિંગ અને ક્રિકેટની રમતને લગતી બધી જવાબદારીઓ માટે ઉપલબ્ધ રહીશ."
તેની IPL કારકિર્દી કેવી રહી?
કર્ણ શર્મા IPLમાં એક જાણીતો ચહેરો રહ્યો છે. તેણે IPL 2009માં RCB માટે ડેબ્યુ કર્યું. ત્યારબાદ તે SRH, MI અને CSK માટે રમ્યો. તેની IPL કારકિર્દીમાં, કર્ણે 90 મેચોમાં ભાગ લીધો અને 83 વિકેટ લીધી. કર્ણ એક સમયે IPL ટીમો માટે લકી ચાર્મ હતો. 2016માં, તે IPL ચેમ્પિયન ટીમ SRHનો ભાગ હતો. પછી, જ્યારે તે 2017માં મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો, ત્યારે ટીમે ટ્રોફી જીતી. 2018માં, તે CSKમાં જોડાયો અને ચેન્નાઈએ ટ્રોફી જીતી. કર્ણ IPL 2021 વિજેતા ટીમનો પણ ભાગ હતો.
ભારત માટે ફક્ત 4 મેચ રમ્યા
કર્ણ શર્માએ ભારત માટે 4 આંતરરાષ્ટ્રીય મેચ રમી. તેણે ઓસ્ટ્રેલિયા સામે એડિલેડમાં પોતાની કારકિર્દીની એકમાત્ર ટેસ્ટ મેચ રની, જ્યાં તેણે 4 વિકેટ લીધી. તે બે ODIમાં પણ રમ્યો પરંતુ એક પણ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો. ભારત માટે તેની એકમાત્ર T20I માં, કર્ણે 1 વિકેટ લીધી. નોંધનીય છે કે તેણે 2014માં ચારેય મેચ રમી હતી. તે પછી, તેને ફરી ક્યારેય ભારત માટે રમવાની તક નથી મળી.

