આજથી માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ, ભારતનો શ્રેણી સરભર કરવા ઇરાદો; ઇંગ્લેન્ડ છેલ્લી 20માંથી માત્ર બે ટેસ્ટમાં જ હાર્યું

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ચુકી છે. પાંચ ટેસ્ટની શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ આજથી માન્ચેસ્ટરમાં રમાશે. ભારત શ્રેણી 2-2થી સરભર કરવા જ્યારે ઇંગ્લેન્ડ 3-1ની અજેય સરસાઇ હાંસલ કરવાના ઇરાદાથી મેદાનમાં ઉતરશે.
ભારત માન્ચેસ્ટરમાં ટેસ્ટ જીત્યું નથી
બેન સ્ટોક્સની આગેવાની હેઠળની ઇંગ્લિશ ટીમ પાસે 2-1ની સરસાઇ ઉપરાંત અન્ય એક જમા પાસું માન્ચેસ્ટરમાં તેનો રેકોર્ડ છે. માન્ચેસ્ટરના ઓલ્ડટ્રેફોર્ડ ખાતે છેલ્લી 20 ટેસ્ટમાંથી ઇંગ્લેન્ડનો માત્ર બેમાં પરાજય, 14માં વિજય થયો છે જ્યારે ચાર ટેસ્ટ ડ્રો રહી છે. માન્ચેસ્ટર ખાતે ભારત કૂલ 9 ટેસ્ટ રમ્યું છે અને હજુ સુધી ક્યારેય જીતી શક્યું નથી.
ટેસ્ટ શ્રેણીનું પરિણામ ભલે 2-1 ઇંગ્લેન્ડની તરફેણમાં હોય પરંતુ હજુ સુધી ભારતની યુવા ટીમે ખૂબ જ સારી લડત આપી છે. એકાદ-બે સેશનમાં સારો દેખાવ કર્યો હોત તો આ શ્રેણીમાં ભારત 3-0ની સરસાઇ ભોગવી રહ્યું હોત તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.
ચોથી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયામાં બદલાવ થઇ શકે
ભારતની ટીમમાં કરૂણ નાયરના સ્થાને સાઇ સુદર્શનને તક મળી શકે છે. આ ઉપરાંત ઘાય નીતિશ રેડ્ડીના સ્થાને શાર્દુલ ઠાકુરને તક આપવા વિચારણા થઇ રહી છે. આકાશદીપ ઇજાગ્રસ્ત હોવાથી તેના સ્થાને પ્રસિદ્ધ ક્રિષ્ણા અથવા અંશુલ કંબોજને તક મળી શકે છે.
એક સંભાવના એવી પણ છે કે, કરૂણ નાયર-સાઇ સુદર્શન બન્નેને તક આપવામાં આવી શકે. આ સ્થિતિમાં ભારત ત્રણ ફાસ્ટ બોલર-બે સ્પિનર્સ સાથે રમી શકે છે. પંતને કિપિંગ કરવા માટે ફિટ જાહેર કરાયો છે જ્યારે બુમરાહ ચોથી ટેસ્ટમાં રમે તે નિશ્ચિત છે.
ઇંગ્લેન્ડની ટીમ: ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલિ પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ, ક્રિસ વોક્સ, લિયામ ડોસન, બ્રાઇડન કાર્સ, જોફ્રા આર્ચર
ભારતની સંભવિત ટીમ: યશસ્વી જયસ્વાલ,લોકેશ રાહુલ, સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત, કરૂણ નાયર/શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, અંશુલ કંબોજ/પ્રસિદ્ધ ક્રિષ્ણા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ

