લૉર્ડ્સ ટેસ્ટમાં હાર બાદ ટીમ ઇન્ડિયામાં ચોથી ટેસ્ટમાં થઇ શકે છે ફેરફાર, આ 3 ખેલાડી થશે બહાર

લૉડ્સમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતનો 22 રને પરાજય થયો હતો.ભારત હવે ચોથી ટેસ્ટમાં ટીમમાં કેટલાક ફેરબદલ કરી શકે છે.ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ 23થી 27 જુલાઇ દરમિયાન માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં રમાશે.ઇંગ્લેન્ડ પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં 2-1થી આગળ થઇ ગયું છે.
વર્કલોડના કારણે બુમરાહને અપાશે આરામ
રિપોર્ટ મુજબ ભારતીય ટીમ મેનેજમેન્ટ ચોથી ટેસ્ટ મેચની પ્લેઈંગ-11માં અનેક ફેરફારો કરી શકે છે. વિશ્વના નંબર 1 ટેસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)ને વર્કલોડ મેનેજમેન્ટના કારણે આવતા અઠવાડિયે આરામ અપાઈ શકે છે. શ્રેણી પહેલા ભારતના મુખ્ય પસંદગીકાર અજિત અગરકર, મુખ્ય કોચ ગૌતમ ગંભીર, કેપ્ટન શુભમન ગિલ અને ખુદ બુમરાહએ પણ કહ્યું હતું કે, તે ઈંગ્લેન્ડમાં માત્ર ત્રણ ટેસ્ટ મેચ રમશે. બુમરાહ ત્રણ ટેસ્ટ મેચમાંથી બે ટેસ્ટ રમી ચુક્યો છે, તેથી એવી શક્યતા છે કે, બુમરાહને ચોથી ટેસ્ટ મેચમાં આરામ અપાશે અને 31 જુલાઈથી 4 ઓગસ્ટ લંડનના ઓવલ ખાતે પાંચમી મેચમાં રમવાની તક અપાશે.
ઈજાગ્રસ્ત પંત પણ ગુમાવી શકે છે ચોથી ટેસ્ટ
બુમરાહ ઉપરાંત વિકેટકીપર-બેટર રિષભ પંત (Rishabh Pant) પણ માન્ચેસ્ટરમાં રમાનારી મેચ ગુમાવી શકે છે. લોર્ડ્સ ટેસ્ટના પહેલા દિવસની રમત દરમિયાન પંતને આંગળીમાં ઈજા થઈ હતી. પંતની ઈજા અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા સામે આવી નથી. જો ચોથી ટેસ્ટમાં પંતને પડતો મુકવામાં આવશે તો તેના સ્થાને ધ્રુવ જુરેલ (Dhruv Jurel)ને પ્લેઇંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. જુરેલે અત્યાર સુધીમાં કુલ ચાર ટેસ્ટ મેચમાં છ ઈનિંગમાં કુલ 202 રન નોંધાવ્યા છે. જેમાં તેણે શ્રેષ્ઠ 90 રન કર્યા છે.
કરૂણ નાયર પર સંકટ
ઈંગ્લેન્ડ સામે સતત ત્રણ ટેસ્ટમાં સામેલ 33 વર્ષિય કરૂણ નાયર (Karun Nair)ને ચોથી ટેસ્ટમાં પણ પડતો મુકવામાં આવી શકે છે, કારણ કે તેણે પ્રથમ ટેસ્ટમાં શૂન્ય અને 20, બીજી ટેસ્ટમાં 31 અને 26 જ્યારે ત્રીજી ટેસ્ટમાં 40 અને 14 રન નોંધાવ્યા હતા. નાયર પોતાની બેટિંગથી પ્રભાવિત કરવામાં સતત નિષ્ફળ ગયો છે, જેના કારણે નાયરના સ્થાને સાઈ સુદર્શન (Sai Sudarshan)ને તક મળી શકે છે. સુદર્શનને પ્રથમ ટેસ્ટમાં સામેલ કરાયો હતો, જેમાં તેણે શૂન્ય અને 30 રન નોંધાવ્યા હતા. જોકે પછી બીજી અને ત્રીજી ટેસ્ટમાં તેને પડતો મુકવામાં આવ્યો હતો.
બુમરાહના સ્થાને અર્શદીપની એન્ટ્રી થવાની સંભાવના
ટીમ ઈન્ડિયાના બોલર આકાશદીપે (AkashDeep) બીજી ટેસ્ટ મેચમાં શ્રેષ્ઠ દેખાવ કરી કુલ 10 વિકેટ ઝડપી હતી, જ્યારે ત્રીજી ટેસ્ટમાં માત્ર એક વિકેટ ઝડપી હતી. તેથી રિપોર્ટ મુજબ જો બુમરાહ ચોથી ટેસ્ટ મેચ નહીં રમે તો આકાશનું સ્થાન યથાવત રહી શકે છે. બીજી તરફ ત્રીજી ટેસ્ટમાં બુમરાહના સ્થાને અર્શદીપ સિંઘ (Arshdeep Singh)નો પણ સમાવેશ થઈ શકે છે, કારણ કે ડાબા હાથને ઝડપી બોલર અને બોલિંગ આક્રમણમાં ટેકનિકલનો ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવે છે.
ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાં ભારતની સંભવિત પ્લેઈંગ-11 ટીમ
યશસ્વી જયસ્વાલ,કે.એલ.રાહુલ, સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), નીતિશ કુમાર રેડ્ડી,વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંઘ, આકાશદીપ, મોહમ્મદ સિરાજ

