VIDEO: ફાઈનલમાં આક્રમક વર્તન અર્શદીપ સિંહને ભારે પડશે! માફી માંગ્યા બાદ પણ સજા કરી શકે છે ICC
ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ન્યુઝીલેન્ડને 96 રને હરાવીને સતત બીજી અને કુલ ત્રીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો છે. જોકે, આ ભવ્ય વિજયની ઉજવણી વચ્ચે ટીમના સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહના આક્રમક વર્તન બદલ ICC (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) તેની સામે કડક કાર્યવાહી કરે તેવી શક્યતા છે.
શું હતી સમગ્ર ઘટના?
ફાઈનલ મેચ દરમિયાન અર્શદીપ સિંહની બીજી ઓવરમાં એક વિવાદાસ્પદ ક્ષણ સર્જાઈ હતી. અર્શદીપે બોલિંગ દરમિયાન ફોલો-થ્રુમાં બોલ સીધો ન્યુઝીલેન્ડના બેટર ડેરિલ મિચેલ તરફ ફેંક્યો હતો, જે તેના પગ પર વાગ્યો હતો. આ ઘટના બાદ મેદાન પર ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો. મિચેલે આ અંગે અમ્પાયરને ફરિયાદ કરી હતી અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે વચ્ચે પડીને મામલો શાંત પાડવો પડ્યો હતો.
ICC કઈ કલમ હેઠળ કરી શકે છે કાર્યવાહી?
અર્શદીપ સિંહ પર ICC આચાર સંહિતાની કલમ 2.9ના ભંગનો આરોપ લાગી શકે છે. કોઈપણ ખેલાડી કે બેટર તરફ જોખમી રીતે બોલ કે અન્ય સાધન ફેંકવું એ રમતની ભાવના સામે માનવામાં આવે છે. આ લેવલ-1નો ગુનો ગણાય છે. જેમાં ખેલાડીને તેની મેચ ફીના 50 ટકા સુધીનો દંડ અને 1થી 2 ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવી શકે છે.
જો કોઈ ખેલાડીના ખાતામાં 24 મહિનાની અંદર 4 ડિમેરિટ પોઈન્ટ જમા થાય, તો તેના પર એક ટેસ્ટ અથવા બે વ્હાઇટ-બોલ મેચનો પ્રતિબંધ લાદવામાં આવે છે. જોકે અર્શદીપે મેચ બાદ મિચેલની માફી માંગી લીધી હતી, પરંતુ ICC ભૂતકાળના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને તેની સમીક્ષા કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝના જેડન સીલ્સ પર યશસ્વી જયસ્વાલ તરફ બોલ ફેંકવા બદલ મેચ ફીના 25 ટકા દંડ અને એક ડિમેરિટ પોઈન્ટ ફટકારવામાં આવ્યો હતો.

