માનહાનિ કેસમાં Mahendra Singh Dhoniને 10 લાખ રૂપિયા જમા કરાવવાનો હાઈકોર્ટનો આદેશ

મદ્રાસ હાઈકોર્ટે મહેન્દ્ર સિંહ ધોનીને માનહાનિના એક કેસમાં 10 લાખ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો છે. આ રકમ સીડી (CD) કન્ટેન્ટના ટ્રાન્સક્રિપ્શન અને અનુવાદના ખર્ચ પેટે છે અને તેને 12 માર્ચ 2026 સુધીમાં જમા કરાવવાની રહેશે. આ મામલો 2013ના IPL સટ્ટાબાજી વિવાદ સાથે જોડાયેલો છે, જેમાં ધોનીએ 100 કરોડ રૂપિયાના વળતરનો દાવો કર્યો છે.
મદ્રાસ હાઈકોર્ટે ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને માનહાનિના એક મહત્ત્વના કેસમાં 10 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. ધોનીએ નિવૃત્ત IPS અધિકારી જી. સંપત કુમાર વિરુદ્ધ 100 કરોડ રૂપિયાના વળતરનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આરોપ છે કે સંપત કુમારે તેમને 2013ના IPL સટ્ટાબાજી કૌભાંડ સાથે જોડ્યા હતા. જસ્ટિસ આર.એન. મંજુલાએ 11 ફેબ્રુઆરીએ આ કેસમાં વચગાળાનો આદેશ આપતા 'કેપ્ટન કૂલ'ને આ નિર્દેશ આપ્યો હતો.
કોર્ટે અગાઉના આદેશમાં શું કહ્યું હતું?
કોર્ટના અગાઉના 28 ઓક્ટોબર 2025ના આદેશ મુજબ, કોર્ટના ઇન્ટરપ્રીટરે સીડીના કન્ટેન્ટને ટ્રાન્સક્રાઇબ અને અનુવાદ કરવાનું કામ શરૂ કરી દીધું છે, પરંતુ આ કામ ખૂબ જ મોટું અને સમય માંગી લે તેવું છે. જજ સાહેબે તેમના આદેશમાં જણાવ્યું હતું કે આ કામ એટલું વિશાળ છે કે એક ઇન્ટરપ્રીટર અને એક ટાઇપિસ્ટને લગભગ 3 થી 4 મહિના સુધી સંપૂર્ણપણે તેમાં રોકાયેલા રહેવું પડશે. વધારાના ખર્ચ અને સમયને જોતા કોર્ટે ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશનનો કુલ ખર્ચ 10 લાખ રૂપિયા નક્કી કર્યો છે. આ રકમ કેસ કરનાર પક્ષ એટલે કે ધોનીએ જ ચૂકવવી પડશે.
12 માર્ચ 2026 સુધીમાં ધોનીએ પૈસા જમા કરાવવા પડશે
જસ્ટિસ મંજુલાએ સ્પષ્ટ કર્યું હતું કે સામાન્ય સંજોગોમાં વાદી (ધોની) એ પોતે જ આ કામ કરાવીને દસ્તાવેજો જમા કરાવવાના હોય છે, પરંતુ આ કેસમાં ખાસ સંજોગોને કારણે કોર્ટના સત્તાવાર ઇન્ટરપ્રીટરની મદદ લેવી પડી છે. તેમણે કહ્યું કે તેથી આ ખર્ચ પણ વાદીએ જ ભોગવવો પડશે.
કોર્ટે ઇન્ટરપ્રીટરને નિર્દેશ આપ્યો છે કે તેઓ માર્ચ 2026 ના ત્રીજા અઠવાડિયા સુધીમાં સીડીના તમામ કન્ટેન્ટનું ટ્રાન્સક્રિપ્શન અને અનુવાદ પૂર્ણ કરી લે. ધોનીએ આ 10 લાખ રૂપિયા 12 માર્ચ 2026 સુધીમાં મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રિલીફ ફંડના ખાતામાં જમા કરાવવાના રહેશે. કેસની આગામી સુનાવણી પણ 12 માર્ચ 2026ના રોજ થશે.

