ચાર ભારતીય ખેલાડીઓ પર લાગ્યો મેચ ફિક્સિંગનો આરોપ! બોર્ડે કર્યા સસ્પેન્ડ, FIR પણ દાખલ થઈ

ભારતીય ઘરેલુ ટુર્નામેન્ટમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ભાગ લેનારા ચાર ખેલાડીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ખેલાડીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેના કારણે આસામ ક્રિકેટ એસોસિએશનને ઝડપી કાર્યવાહી કરવાની ફરજ પડી છે. ઈશાન અહેમદ, અમન ત્રિપાઠી, અમિત સિંહા અને અભિષેક ઠાકુર પર આસામ ટીમના ખેલાડીઓને પ્રભાવિત કરવાનો અને ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમની સામે ગુવાહાટી ક્રાઈમ બ્રાન્ચમાં FIR દાખલ કરવામાં આવી છે. જ્યાં સુધી આ મામલાની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી, આ ચાર ખેલાડીઓ આસામ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત કોઈપણ ટુર્નામેન્ટમાં ભાગ નહીં લઈ શકે.
ચાર ખેલાડીઓ સસ્પેન્ડ
26 નવેમ્બરથી 8 ડિસેમ્બર દરમિયાન રમાયેલી મેચ દરમિયાન ઈશાન, અમન, અમિત અને અભિષેક પર અન્ય ખેલાડીઓને પ્રભાવિત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ બાબતની જાણ થતા આસામ ક્રિકેટ એસોસિએશને તાત્કાલિક આ ચાર ખેલાડીઓ સામે ઝડપી કાર્યવાહી કરી. BCCIના ભ્રષ્ટાચાર વિરોધી અને સુરક્ષા એકમે આ મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો હોવાનું જાણવા મળે છે.
આસામ ક્રિકેટ એસોસિએશને એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે આ ચાર ખેલાડીઓ ગેરવર્તણૂકમાં સંડોવાયેલા છે જેણે રમતની ઈમાનદારી પર નકારાત્મક અસર કરી છે. પરિસ્થિતિ વધુ વકરી ન જાય તે માટે આ ચાર ખેલાડીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. તેમના સસ્પેન્શન દરમિયાન, આ ખેલાડીઓ કોઈપણ રાજ્ય-સ્તરીય ટુર્નામેન્ટમાં ભાગ નહીં લઈ શકે.

