Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Former cricketer's advice to Vaibhav Suryavanshi after altercation with Sri Lankan player

વૈભવે દરેક પરિસ્થિતિમાં સંયમ જાળવવો પડશે, શ્રીલંકન પ્લેયર સાથે થયેલી બોલાચાલી બાદ પૂર્વ ક્રિકેટરની યુવા ખેલાડીને સલાહ

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
વૈભવે દરેક પરિસ્થિતિમાં સંયમ જાળવવો પડશે, શ્રીલંકન પ્લેયર સાથે થયેલી બોલાચાલી બાદ પૂર્વ ક્રિકેટરની યુવા ખેલાડીને સલાહ
સોર્સ : GSTV

ઈન્ડિયા Aના યુવા બેટર વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકા Aના ખેલાડી વિશેન હાલામબાગે વચ્ચે થયેલા વિવાદ બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરે મોટી પ્રતિક્રિયા આપી છે. જાફરે જણાવ્યું છે કે, વધતી લોકપ્રિયતાની સાથે વિરોધી ખેલાડીઓ ઉશ્કેરવાનો પ્રયાસ કરશે, પરંતુ વૈભવે દરેક પરિસ્થિતિમાં સંયમ જાળવવો પડશે. તેણે મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનું ઉદાહરણ આપતાં યુવા બેટરને આ ઘટનામાંથી શીખ લેવાની સલાહ આપી છે.

App Store

મેદાન પર બંને યુવા ખેલાડીઓ વચ્ચે થઈ તીખી બોલાચાલી

ઈન્ડિયા A અને શ્રીલંકા A વચ્ચે રમાઈ રહેલી ટ્રાઈ-સિરીઝ દરમિયાન વૈભવ સૂર્યવંશી વિવાદોમાં ઘેરાયો છે. હવે આ તાજેતરના વિવાદ પર પૂર્વ ભારતીય બેટ્સમેન વસીમ જાફરે પોતાની વાત રજૂ કરતાં વૈભવને મહત્ત્વપૂર્ણ સલાહ આપી છે. હકીકતમાં, ઈન્ડિયા A અને શ્રીલંકા A વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં ઈન્ડિયા Aને સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ પૂર્ણ થયા બાદ શ્રીલંકન ખેલાડીઓએ જીતની જોરદાર ઉજવણી કરી હતી. આ દરમિયાન વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકા Aના ખેલાડી વિશેન હાલામબાગે વચ્ચે તીખી બોલાચાલી થઈ ગઈ હતી.

સ્થિતિ બગડતાં અમ્પાયરો અને સાથી ખેલાડીઓએ કરવો પડ્યો બચાવ

અહેવાલો અનુસાર, હાલામબાગેએ વૈભવને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ સ્થિતિ વધુ બગડી ગઈ હતી અને બંને ખેલાડીઓ વચ્ચે ધક્કામુક્કીની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. મેદાન પર હાજર અન્ય ખેલાડીઓ અને અમ્પાયરો સહિતના અધિકારીઓએ વચ્ચે પડીને મામલો શાંત પાડવો પડ્યો હતો. આ ઘટના બાદ વસીમ જાફરે પોતાની યુટ્યુબ ચેનલ પર વૈભવ સૂર્યવંશીને લઈને મોટું નિવેદન આપ્યું છે.

તેણે કહ્યું કે, યુવા બેટરે આ ઘટનામાંથી સબક લેવો જોઈએ, કારણ કે હવે તે ઝડપથી ક્રિકેટ જગતમાં પોતાની ઓળખ બનાવી રહ્યો છે અને વિરોધી ખેલાડીઓ તેને માનસિક રીતે પરેશાન કરવાની કોશિશ કરશે.

હાથાપાઈ તો બિલકુલ સ્વીકાર્ય નથી: વસીમ જાફર

જાફરે વધુમાં ઉમેર્યું કે, વૈભવ પાસે હવે નામ અને ઓળખ છે, તેથી આગળ પણ ઘણા ખેલાડીઓ તેને ઉશ્કેરવાનો પ્રયાસ કરશે. જોકે, કોઈપણ પરિસ્થિતિમાં જવાબી પ્રતિક્રિયા આપવી અથવા શારીરિક રીતે ભીડવું બિલકુલ સ્વીકાર્ય નથી. તેણે એ પણ સ્વીકાર્યું કે જરૂરી નથી કે ભૂલ સંપૂર્ણપણે વૈભવની જ હોય, પરંતુ તેમ છતાં તેણે પોતાના વર્તન પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. પૂર્વ ભારતીય બેટ્સમેને જણાવ્યું કે, વૈભવે સમજવું પડશે કે હવે તે ઘણા યુવા ખેલાડીઓ માટે રોલ મોડલ બની ગયો છે. આવી સ્થિતિમાં મેદાન પર તેનું વર્તન પણ એટલું જ મહત્ત્વનું છે જેટલું તેનું પ્રદર્શન.

સચિન તેંડુલકરનું પ્રેરણાદાયી ઉદાહરણ આપ્યું

જાફરનું માનવું છે કે આ ઘટના તેના માટે શીખરૂપ સાબિત થશે અને ભવિષ્યમાં તે આવી પરિસ્થિતિઓને વધુ સારી રીતે હેન્ડલ કરી શકશે. તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું પ્રેરણાદાયી ઉદાહરણ પણ આપ્યું હતું. જાફરે કહ્યું કે, સચિને પણ ખૂબ જ નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું, પરંતુ તેને ભાગ્યે જ ક્યારેય આવા કોઈ વિવાદોમાં જોવામાં આવ્યો હતો. તેણે આશા વ્યક્ત કરી કે વૈભવના માતા-પિતા, કોચ અને નજીકના લોકો પણ આ ગંભીર વિષય પર તેની સાથે ચર્ચા કરશે.

ઓન-ફિલ્ડ ડ્રામા એક મર્યાદામાં હોવો જોઈએ

જાફરે આગળ જણાવ્યું કે, ક્રિકેટમાં હળવી નોકઝોક અને ઓન-ફિલ્ડ ડ્રામા રમતનો એક ભાગ છે. તે ખેલાડીઓની માનસિક મજબૂતીની પણ કસોટી કરે છે, પરંતુ આ બધું એક ગરિમા અને મર્યાદાની અંદર રહેવું જોઈએ. કોઈપણ ખેલાડીએ વ્યક્તિગત ટિપ્પણી અથવા શારીરિક ટકરાવ સુધી પહોંચવું જોઈએ નહીં.

આયર્લેન્ડ-ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાં મોટી ઇનિંગની અપેક્ષા

ટ્રાઈ-સિરીઝમાં વૈભવ સૂર્યવંશીની બેટિંગના આંકડા જોઈએ તો તેણે સારી શરૂઆત તો કરી છે, પરંતુ હજુ સુધી કોઈ મોટી ઈનિંગ રમી નથી શક્યો. 4 મેચોમાં તેણે 29.25ની સરેરાશ અને 153.94ના શાનદાર સ્ટ્રાઈક રેટથી 117 રન બનાવ્યા છે. ટીમ મેનેજમેન્ટને આશા હશે કે વૈભવ આગામી મેચોમાં પોતાના બેટથી વધુ રન મેળવે. ખાસ કરીને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા તે શ્રીલંકામાં 21 તારીખે રમાનારી ટ્રાઈ-સિરીઝની આગામી મેચમાં બેટથી કોઈ મોટો ધડાકો કરે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.