IND vs IRE / 'વિશ્વાસ નથી આવતો...' વૈભવ સૂર્યવંશીને પ્લેઈગ ઈલેવનમાં સામેલ ના કરતા ભડક્યો પૂર્વ ખેલાડી
ટીમ ઈન્ડિયાને આયર્લેન્ડ સામેની પહેલી T20Iમાં હારનો સામનો કરવો પડ્યો. બેલફાસ્ટમાં થયેલી આ મેચમાં વૈભવ સૂર્યવંશીનું ડેબ્યુ અપેક્ષિત હતું. સૂર્યવંશી ઉત્તમ ફોર્મમાં છે અને છેલ્લા કેટલાક મહિનામાં તેણે ઘણા રન બનાવ્યા છે. આમ છતાં, તેને આયર્લેન્ડ સામે ડેબ્યુ કરવાની તક નહતી આપવામાં આવી. ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ ક્રિકેટર માઈકલ વોન આ અંગે ગુસ્સે થયો. તે વૈભવની પ્લેઈંગ ઈલેવનમાંથી બાકાત રહેવા પર વિશ્વાસ કરી શક્યો નહીં.
"વિશ્વાસ નથી આવતો કે વૈભવ બહાર છે..."
ટીમ ઈન્ડિયાની આયર્લેન્ડ સામે 'શરમજનક' હાર બાદ, X (અગાઉ ટ્વિટર) પર માઈકલ વોનની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. વોને ટીમ ઈન્ડિયાની પસંદગી પર સવાલ ઉઠાવ્યા છે. તેણે વૈભવને હાલમાં વિશ્વનો શ્રેષ્ઠ T20 બેટ્સમેન ગણાવ્યો અને પ્લેઈંગ ઈલેવનમાંથી તેની ગેરહાજરી પર આશ્ચર્ય વ્યક્ત કર્યું. તેમણે કહ્યું, "મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે ભારતે વૈભવ સૂર્યવંશીને પસંદ નથી કર્યો. તે હાલમાં વિશ્વનો શ્રેષ્ઠ T20 બેટ્સમેન છે."
ભારત-આયર્લેન્ડ મેચ શરૂ થાય તે પહેલાં માઈકલ વોને આ પોસ્ટ કરી હતી. જોકે, આયર્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાની પહેલી હાર બાદ તે વાયરલ થઈ રહી છે. ફેન્સ માઈકલના નિવેદન સાથે સહમત હોય તેવું લાગે છે.
આયર્લેન્ડે ભારતને 34 રનથી હરાવ્યું
બેલફાસ્ટમાં રમાયેલી પહેલી T20Iમાં આયર્લેન્ડે પહેલા બેટિંગ કરી. કેપ્ટન લોર્કન ટકરની અડધી સદી અને ગેરેથ ડેલાનીના 49 રનની ઈનિંગના આધારે, આયર્લેન્ડે 20 ઓવરમાં 182 રન બનાવ્યા. 2026 T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે લક્ષ્ય સરળ માનવામાં આવતું હતું.

