દિનેશ કાર્તિકની સરપ્રાઈઝ વાપસી, બની ગયો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન; હવે આ ટુર્નામેન્ટમાં મચાવશે ધમાલ

ક્રિકેટ હોંગકોંગ ચાઈના એ મંગળવારે જાહેરાત કરી કે અનુભવી ભારતીય ક્રિકેટ ખેલાડી દિનેશ કાર્તિકને હોંગકોંગ સિક્સીસ 2025 ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે. આ ટુર્નામેન્ટ 7થી 9 નવેમ્બર, 2025 દરમિયાન રમાશે. દિનેશ કાર્તિક ઉપરાંત, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર રવિચંદ્રન અશ્વિન પણ આ ટુર્નામેન્ટમાં રમશે.
દિનેશ કાર્તિક હોંગકોંગ સિક્સીસમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બન્યો
હોંગકોંગ સિક્સીસ ટુર્નામેન્ટ 1992માં શરૂ થઈ હતી અને તેમાં કુલ 12 ટીમો ભાગ લે છે. ભારતે ફક્ત એક જ વાર, 2005માં આ ટુર્નામેન્ટનું ટાઈટલ જીત્યું છે. જોકે, ટીમ ઈન્ડિયા 1992 અને 1995માં ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ ટાઈટલથી જીતવાથીચૂકી ગઈ હતી.
આ ટુર્નામેન્ટ માટે ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર દિનેશ કાર્તિકને ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે, અને તેની પાસેથી 20 વર્ષ બાદ આ ટુર્નામેન્ટ ભારતને ચેમ્પિયન બનાવવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
ક્રિકેટ હોંગકોંગ ચાઈનાના ચેરમેન શ્રી બુર્જી શ્રોફે જણાવ્યું હતું કે, "ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે દિનેશ કાર્તિકનું સ્વાગત કરવા માટે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. તેમનો અનુભવ અને નેતૃત્વ આ ટુર્નામેન્ટને ખાસ બનાવશે, અને અમને વિશ્વાસ છે કે તેમની હાજરી વિશ્વભરના દર્શકોને આકર્ષિત કરશે."
આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાના કેપ્ટન બન્યા બાદ, દિનેશ કાર્તિકે કહ્યું, "ઐતિહાસિક અને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત હોંગકોંગ સિક્સીસ ટુર્નામેન્ટમાં ભારતનું નેતૃત્વ કરવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. હું શાનદાર ખેલાડીઓની સાથે મળીને એવું ક્રિકેટ રમવા માંગું છું, જે દર્શકોને આનંદ આપે અને રોમાંચક હોય"
ટીમ ઈન્ડિયા એ ગયા વર્ષે કેવું પ્રદર્શન કર્યું?
ગયા વર્ષે હોંગકોંગ સિક્સીસમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ગયા વર્ષે, ટીમનું નેતૃત્વ રોબિન ઉથપ્પાએ કર્યું હતું, અને ટીમ એક પણ મેચ નહતી જીતી શકી. ભારતને ફક્ત પાકિસ્તાન સામે જ નહીં પરંતુ UAE સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો.
હોંગકોંગ સિક્સીસ ટુર્નામેન્ટમાં, એક ટીમમાં ફક્ત છ ખેલાડીઓ હોય છે. એક ઈનિંગ છ ઓવરની હોય છે, અને દરેક ખેલાડી ફક્ત એક ઓવર જ ફેંકી શકે છે. ટુર્નામેન્ટમાં નો બોલ પર ફ્રી હિટ નથી મળતી. વધુમાં, જો કોઈ ખેલાડી અડધી સદી ફટકારે છે, તો તેણે રિટાયર કરવામાં આવે છે, પરંતુ ટીમને જરૂર પડે તો તે ફરીથી રમી શકે છે.

