VIDEO: ખેલાડીઓની સતત ઈજાથી બીસીસીઆઈ સખ્ત, નવી સિસ્ટમ અમલી
BCCI અને ચીફ સિલેક્ટર અજીત અગરકરની આગેવાની હેઠળની સિલેક્શન કમિટીએ રાષ્ટ્રીય ટીમમાં પસંદગી અને ખેલાડીઓની ફિટનેસને લઈને અત્યંત કડક વલણ અપનાવ્યું છે. આગામી ભારત અને શ્રીલંકા વચ્ચેની બે ટેસ્ટ મેચોની સીરિઝ પહેલાં ક્રિકેટ બોર્ડે નવો ફિટનેસ પ્રોટોકોલ અમલી બનાવ્યો છે. હવે ભારતીય ટીમમાં સ્થાન મેળવવા કે વાપસી કરવા માટે દરેક ખેલાડીએ બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે જઈને પોતાની ફિટનેસ સાબિત કરવી અને મેડિકલ ટીમ પાસેથી ફિટનેસ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. અગાઉ ખેલાડીઓ પોતાની સ્થાનિક અથવા વ્યક્તિગત ફિટનેસ રિપોર્ટના આધારે સીધા ટીમ સાથે જોડાઈ જતા હતા. પરંતુ તાજેતરના સમયમાં ઈન્ટરનેશનલ મેચો દરમિયાન ખેલાડીઓ વારંવાર ઈજાગ્રસ્ત થવાની અને વચ્ચેથી જ બહાર થઈ જવાની ઘટનાઓ વધી છે. આ પરિસ્થિતિને રોકવા માટે BCCIએ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ ખેલાડી પછી ભલે તે કેટલો પણ સીનિયર કે સ્ટાર હોય, તેને CoEના હેડ ઓફ સ્પોર્ટ્સ સાયન્સ અને મેડિકલ સ્ટાફ દ્વારા સંપૂર્ણ ફિટ જાહેર કરવામાં આવ્યા બાદ જ ભારતીય ટીમની મેચ રમવા દેવામાં આવશે.

