ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય સ્ક્વોડ જાહેર; સંજુ સેમસનને ન મળ્યું સ્થાન, આ ત્રણ યુવા ખેલાડીઓની થઈ એન્ટ્રી

ઝિમ્બાબ્વે સામે રમાનારી 3 મેચોની ટી-20 સિરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ સિરિઝ માટે ટીમની કમાન શ્રેયસ અય્યરને સોંપવામાં આવી છે, જ્યારે તિલક વર્મા વાઇસ કેપ્ટન રહેશે. આ ટીમ પસંદગીમાં સૌથી ચોંકાવનારો નિર્ણય વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસનને બહાર રાખવાનો છે. તેની જગ્યાએ ટીમમાં આઈપીએલના ધુરંધર ખેલાડીઓની એન્ટ્રી થઈ છે, જ્યારે હાર્ડ હિટર રિન્કુ સિંહની ટીમમાં વાપસી થઈ છે. આ સિરિઝની તમામ મેચો હરારેમાં રમાશે.
3 યુવા ખેલાડીઓને પહેલીવાર મળી તક
આ પ્રવાસ માટે પસંદગીકારોએ યુવા ખેલાડીઓ પર મોટો ભરોસો મૂક્યો છે. આઈપીએલ સ્ટાર પ્રભસિમરન સિંહ ઉપરાંત ફાસ્ટ બોલર અશોક શર્મા અને યશ ઠાકુરને પહેલીવાર ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. આ સિવાય, તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કરનાર યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પણ ટીમમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. તે અભિષેક શર્માની સાથે ઓપનર તરીકે ટીમમાં જોવા મળશે.
પ્રભસિમરન સિંહની ધમાકેદાર એન્ટ્રી
પંજાબ કિંગ્સના વિસ્ફોટક ઓપનર અને વિકેટકીપર પ્રભસિમરન સિંહને તેના શાનદાર પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. પ્રભસિમરને તેની ટી-20 કરિયરની 129 મેચોમાં 151.50 ના સ્ટ્રાઈક રેટથી 3665 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 27 અર્ધસદી સામેલ છે. આઈપીએલ 2026 માં પણ તેણે 14 મેચોમાં 168 ના આક્રમક સ્ટ્રાઈક રેટથી 510 રન ફટકાર્યા હતા.
મયંક યાદવની વાપસી અને પેસ એટેક
ભારતના સૌથી ઝડપી બોલરોમાંથી એક એવા મયંક યાદવની અંદાજે 2 વર્ષ બાદ ભારતીય ટીમમાં વાપસી થઈ છે. તેની સાથે પ્રિન્સ યાદવને પણ ટીમમાં સામેલ કરાયો છે, જે પેસ એટેકની જવાબદારી સંભાળશે. સ્પિન વિભાગની કમાન વરુણ ચક્રવર્તીના હાથમાં રહેશે.
સીરિઝનું આખું શિડ્યુલ
ભારતીય ટીમ આ પ્રવાસમાં 3 ટી-20 મેચ રમશે અને આ તમામ મેચો હરારેના મેદાન પર રમાશે.
પ્રથમ ટી-20 મેચ: 23 જુલાઈ
બીજી ટી-20 મેચ: 25 જુલાઈ
ત્રીજી અને અંતિમ મેચ: 26 જુલાઈ
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતની આખી ટીમ
શ્રેયસ અય્યર (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, તિલક વર્મા (વાઇસ કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, રિન્કુ સિંહ, હર્ષ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર, અશોક શર્મા, મયંક યાદવ, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર).

