સહેવાગ બાદ હવે અન્ય ખેલાડીનું દર્દ છલકાયું, કહ્યું- 'હું પણ ધોનીને કારણે ટીમમાંથી બહાર...'

પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે પોતાની ક્રિકેટ કારકિર્દી વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઇરફાન પઠાણે કહ્યું કે, '2009માં મને ટીમમાંથી બહાર કરવા પાછળ તત્કાલિન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો મુખ્ય રોલ હતો. શ્રીલંકા સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યા છતાં 2009ના ન્યુઝીલેન્ડ પ્રવાસ પર મને એક પણ મેચ રમવાનો મોકો નહતો મળ્યો.'
હું પણ ધોનીને કારણે ટીમમાંથી બહાર થયો: ઇરફાન પઠાણ
ઇરફાન પઠાણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, "મેં તે સમયના કોચ ગેરી કર્સ્ટનને પૂછ્યું હતું કે મને શા માટે બહાર બેસાડવામાં આવ્યો છે. આના પર કર્સ્ટને મને બે કારણો આપ્યા હતા. કર્સ્ટને કહ્યું કે વસ્તુઓ તેના હાથમાં નહતી. સાથે જ બીજું કારણ એ હતું કે ટીમ એક બેટિંગ ઓલરાઉન્ડર સાથે આગળ વધવા માંગતી હતી. આ ભૂમિકા મારા ભાઈ યુસુફ પઠાણને મળી હતી, જ્યારે હું પોતાને બોલિંગ ઓલરાઉન્ડર માનતો હતો."
ઇરફાન પઠાણે વધુમાં કહ્યું કે, "મેં પૂછ્યું કે આ કોના હાથમાં છે, પરંતુ તેમણે મને કંઈ ન કહ્યું. મને પહેલાથી જ ખબર હતી કે આ કોના હાથમાં છે. પ્લેઈંગ ઈલેવન કેપ્ટનની પસંદગી પરથી નક્કી થાય છે. આ નિર્ણય કેપ્ટન, કોચ અને મેનેજમેન્ટનો હોય છે. તે સમયે ધોની કેપ્ટન હતો. હું એ વાતમાં પડવા માંગતો નથી કે તે નિર્ણય સાચો હતો કે ખોટો, કારણ કે દરેક કેપ્ટનને ટીમને પોતાની રીતે ચલાવવાનો હક છે."
'આજે જો તમે પૂછશો કે...'
ઇરફાન પઠાણે વધુમાં કહ્યું, "ગેરી કર્સ્ટનનો બીજો જવાબ એ હતો કે તે સમયે અમે સાતમા નંબરે એક બેટિંગ ઓલરાઉન્ડરની શોધમાં હતા. મારો ભાઈ યુસુફ બેટિંગ ઓલરાઉન્ડર હતો, જ્યારે હું બોલિંગ ઓલરાઉન્ડર હતો. બંને એકબીજાથી અલગ હતા, પરંતુ ટીમમાં કોઈ એકને જ જગ્યા મળતી હતી. આજે જો તમે પૂછશો કે બે ઓલરાઉન્ડરની જરૂર છે, તો લોકો ખુશીથી લઈ લેશે."
'ન્યુઝીલેન્ડના પ્રવાસ પર મને પહેલી, બીજી અને ત્રીજી મેચમાંથી બહાર રાખવામાં આવ્યો'
ઇરફાન પઠાણ કહે છે, "જો તે જ સ્થિતિમાં કોઈ અન્ય ખેલાડી હોત તો તેને ક્યારેય એક વર્ષ માટે ડ્રોપ કરવામાં ન આવ્યો હોત. અમે બંને ભાઈઓએ શ્રીલંકામાં મેચ જીતાડી હતી, પરંતુ ન્યુઝીલેન્ડમાં મને એક પણ મેચમાં સામેલ કરવામાં ન આવ્યો. શ્રીલંકા સામે તે મેચમાં 27 કે 28 બોલમાં 60 રન જોઈતા હતા અને અમે ત્યાંથી જીત મેળવી. ન્યુઝીલેન્ડના પ્રવાસ પર મને પહેલી, બીજી અને ત્રીજી મેચમાંથી બહાર રાખવામાં આવ્યો. ચોથી મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ. હું છેલ્લી મેચમાં પણ નહતો. પછી મેં ગેરી સરને પૂછ્યું કે મને શા માટે બહાર કરવામાં આવ્યો. જો કોઈ સુધારો કરવાની જરૂર હતી, તો તેઓ મને કહી શકતા હતા."
ઇરફાન પઠાણની કારકિર્દી કેવી રહી?
ઇરફાન પઠાણે 2011માં વાપસી કરી 2012માં તો ઇરફાને ભારત માટે કુલ 20 મેચ રમી, જેમાં તેણે 211 રન બનાવ્યા અને 31 વિકેટ લીધી અને 2020માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો. ઇરફાન પઠાણે 29 ટેસ્ટ, 124 ODI અને 24 T20 ઈન્ટરનેશનલ મેચ રમી. ટેસ્ટ ક્રિકેટમાં ઇરફાને 1105 રન બનાવ્યા. સાથે જ 100 વિકેટ લીધી. ODIમાં તેણે 173 વિકેટ લેવા ઉપરાંત 1544 રન બનાવ્યા. T20 ઈન્ટરનેશનલમાં ઇરફાનના નામે 28 વિકેટ અને 172 રન નોંધાયેલા છે.

