'ધોનીએ મને ટીમની બહાર કર્યો, હું રિટાયરમેન્ટ લેવા માંગતો હતો', પૂર્વ ક્રિકેટરે વર્ષો પછી કર્યો ચોંકાવનારો ખુલાસો

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગને આક્રમક બેટ્સમેનના રૂપમાં ઓળખવામાં આવે છે. સહેવાગે વર્ષો પછી એક મોટો ખુલાસો કરતા જણાવ્યું કે જ્યારે એમએસ ધોનીએ તેમને ટીમની બહાર કર્યો ત્યારે તે રિટાયરમેન્ટ લેવા માંગતો હતો. સહેવાગે કહ્યું કે સચિન તેંડુલકરની સલાહે તેને ટીમમાં પરત ફરવામાં મદદ કરી હતી.
સહેવાગનો મોટો ખુલાસો
કોમેન્ટેટર પદ્મજીતની યૂ ટ્યુબ ચેનલ પર સહેવાગે વાત કરતા કહ્યું, '2007-08માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સિરીઝની શરૂઆતની 3 મેચ બાદ એમએસ ધોનીએ મને ટીમની બહાર કરી દીધો હતો. તે બાદ થોડા સમય સુધી મને ટીમમાં જગ્યા મળી ન હતી, તે સમયે મેં વિચાર્યું કે જો હું પ્લેઇંગ 11માં નથી આવી શકતો તો વન ડે ક્રિકેટ રમવાનો કોઇ અર્થ નથી.
સચિન તેંડુલકરની સલાહે મદદ કરી
તે બાદ સહેવાગ સચિન પાસે ગયો હતો. સહેવાગે કહ્યું, 'હું સચિન તેંડુલકર પાસે ગયો અને કહ્યું કે હું ODIમાંથી સંન્યાસ લેવા માંગુ છું. સચિને કહ્યું કે તેમણે પણ 1999 અને 2000માં આવો સમય જોયો છે અને તે સંન્યાસ લેવા માંગતો હતો પરંતુ પછી તે સમય વિતી ગયો. સચિને મને કહ્યું કે ભાવુક થઇને કોઇ નિર્ણય ના લો, 1 કે 2 સિરીઝનો સમય આપો અને પછી તેના વિશે વિચારજો.'
વિરેન્દ્ર સહેવાગનું પ્રદર્શન 2008ની ટ્રાઇ સિરીઝમાં ખાસ રહ્યું નહતું. સહેવાગે 5 મેચમાં 81 રન જ બનાવ્યા હતા. ગૌતમ ગંભીરે આ સિરીઝમાં 440 રન બનાવ્યા હતા. તે આ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. બીજા નંબર પર સચિન તેંડુલકર હતો જેને 399 રન બનાવ્યા હતા.
સચિનની સલાહ સહેવાગને કામમાં આવી
સચિન તેંડુલકરની સલાહ વિરેન્દ્ર સહેવાગના કામમાં આવી હતી અને તે બાદ તે ભારતીય ટીમમાં પરત ફર્યો હતો અને પછી વાઇસ કેપ્ટન પણ બન્યો હતો. સહેવાગ 2011 વર્લ્ડકપ ટીમનો ભાગ હતો જેમાં ભારતે એમએસ ધોનીની કેપ્ટન્સીમાં શ્રીલંકાને હરાવીને ખિતાબ જીત્યો હતો.

