'મારો પુત્ર ડિપ્રેસ્ડ...', 3 વર્ષથી બેન્ચ પર બેઠેલા અભિમન્યુ ઈશ્વરનના પિતાનો ગુસ્સો ફાટ્યો, ટીમ સિલેકશન પર ઉઠાવ્યા સવાલ

અભિમન્યુ ઈશ્વરન ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પણ બેન્ચ પર જ રહ્યો, તેને 5મી ટેસ્ટમાં પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન ન મળ્યું. આ પછી, તેના પિતાની ધીરજ તૂટી ગઈ. તેમણે જણાવ્યું કે તેઓ ઈંગ્લેન્ડ પ્રવાસની શરૂઆતથી જ તેમના દીકરા સાથે સતત સંપર્કમાં છે અને એવું લાગે છે કે તે થોડો ડિપ્રેશનમાં છે. તેમણે એમ પણ કહ્યું કે કેટલાક ખેલાડીઓને IPLના આધારે ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે.
ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી સિરીઝ શુભમન ગિલની કેપ્ટન તરીકેની પ્રથમ ટેસ્ટ સિરીઝ છે. તેની છેલ્લી ટેસ્ટ ઓવલ ખાતે રમાઈ રહી છે. એવું માનવામાં આવતું હતું કે હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન ગિલ આ પ્રવાસમાં અભિમન્યુ ઈશ્વરનને ડેબ્યુ કરવાની તક આપી શકે છે. જોકે, આવું થયું નહીં. આવી સ્થિતિમાં તેના પિતાએ કહ્યું કે શા માટે કરુણ નાયરને તેમના પુત્ર કરતાં પ્રાથમિકતા આપવામાં આવી. તેમણે કહ્યું કે અભિમન્યુએ માત્ર સ્થાનિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન જ નથી કર્યું, પરંતુ ગયા વર્ષે દુલીપ ટ્રોફી, ઈરાની ટ્રોફી અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પણ તેની પસંદગી થઈ હતી.
અભિમન્યુ ઈશ્વરનના પિતા ગુસ્સે થયા
અભિમન્યુ ઈશ્વરનના પિતા રંગનાથને કહ્યું, "હું અભિમન્યુના ટેસ્ટ ડેબ્યુની રાહ દિવસો નહીં વર્ષોથી જોઈ રહ્યો હતો. હવે 3 વર્ષ થઈ ગયા છે. ખેલાડીનું કામ શું છે? રન બનાવવાનું, તેણે તે કર્યું છે. લોકો કહેતા હતા કે ઓસ્ટ્રેલિયાના છેલ્લા પ્રવાસમાં તેણે ઈન્ડિયા-Aની બે મેચમાં સારું પ્રદર્શન નહતું કર્યું અને તેના કારણે તે ટીમમાં સ્થાન મેળવી નહતો શક્યો, જે સાચું પણ છે. પરંતુ જ્યારે અભિમન્યુએ બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા સારું પ્રદર્શન કર્યું હતું, ત્યારે કરુણ નાયર તે સમયે ટીમમાં નહતો. કરુણને દુલીપ ટ્રોફી કે ઈરાની ટ્રોફી માટે પસંદ નહતો કરવામાં આવ્યો. જો તમે ગયા વર્ષથી આ વર્ષ સુધીનો સમય જુઓ, તો અભિમન્યુએ લગભગ 864 રન બનાવ્યા છે. તો તેની તુલના કેવી રીતે કરી શકાય? મને સમજાતું નથી. તેઓએ કરુણ નાયરને તક આપી. ઠીક છે, તેણે 800થી વધુ રન બનાવ્યા. સિલેક્ટર્સે તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે."
અભિમન્યુ ઈશ્વરનના પિતાએ કહ્યું કે તેઓ ઈંગ્લેન્ડ પ્રવાસની શરૂઆતથી જ તેમના પુત્રને પ્રેરિત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ખેલાડીઓને તેમના IPL પ્રદર્શનના આધારે ટેસ્ટ ટીમમાં સ્થાન કેવી રીતે મળે છે.
તેમણે કહ્યું, "મારો પુત્ર થોડો ડિપ્રેસ્ડ છે, તે સ્વાભાવિક છે. કેટલાક ખેલાડીઓ IPLમાં તેમના પ્રદર્શનના આધારે ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવે છે. ટેસ્ટ ક્રિકેટ ટીમની પસંદગી કરતી વખતે, વ્યક્તિએ IPL પ્રદર્શનને ન જોવું જોઈએ, પરંતુ રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી અને ઈરાની ટ્રોફીને આધાર તરીકે લેવા જોઈએ."

