પિતાના અવસાન પછી શ્રીલંકન ટીમ સાથે ફરી જોડાયો 22 વર્ષીય ખેલાડી, શું આજે બાંગ્લાદેશ સામેની મેચ રમશે?

એશિયા કપ 2025માં શાનદાર ફોર્મમાં રહેલી શ્રીલંકાની ટીમમી તાકાત આજે (20 સપ્ટેમ્બર) બાંગ્લાદેશ સામેની મેચ પહેલા વધી ગઈ છે. 22 વર્ષીય ઓલરાઉન્ડર દુનિથ વેલ્લાલાગે ટીમમાં ફરી જોડાયો છે. તમને જણાવી દઈએ કે દુનિથ વેલ્લાલાગે અફઘાનિસ્તાન સામેની મેચ પછી ઘરે પરત ફર્યો હતો કારણ કે તેના પિતા સુરંગા વેલ્લાલાગેનું હાર્ટએટેકથી અવસાન થયું હતું.
યુવાન ખેલાડીને અફઘાનિસ્તાન સામેની મેચ પછી દુ:ખદ સમાચારની જાણ કરવામાં આવી હતી. તે ટીમ મેનેજર મહિન્દા હાલાંગોડે સાથે પહેલી ફ્લાઈટમાં ઘરે પરત ફર્યો હતો.
શ્રીલંકા ક્રિકેટે શું કહ્યું?
શ્રીલંકા ક્રિકેટે શુક્રવારે એક નિવેદન જારી કરીને કહ્યું, "શ્રીલંકાની ટીમ બાંગ્લાદેશ સામે UAEમાં તેના સુપર-4 તબક્કાના અભિયાનની શરૂઆત કરશે. વેલ્લાલાગે મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે." બાંગ્લાદેશ સામેની મેચ પછી, શ્રીલંકાની ટીમ 23 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને 26 ઓગસ્ટે ભારત સામે ટકરાશે.
વેલ્લાલાગેનું પ્રદર્શન
અફઘાનિસ્તાન સામેની મેચમાં, દુનિથ વેલ્લાલાગે એ તેની ચાર ઓવરના સ્પેલમાં 49 રન આપીને એક વિકેટ લીધી. જોકે, શ્રીલંકાએ છ વિકેટથી મેચ જીતી લીધી. કુસલ મેન્ડિસે બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું, 52 બોલમાં અણનમ 74 રન બનાવ્યા. વેલ્લાલાગે અત્યાર સુધી 31 ODI અને 5 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કર્યું છે.
શ્રીલંકાની સ્થિતિ મજબૂત
શ્રીલંકાએ વર્તમાન એશિયા કપમાં અત્યાર સુધી અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. શ્રીલંકાએ તેની ત્રણેય લીગ સ્ટેજ મેચ જીતીને સુપર-4માં પ્રવેશ કર્યો. લીગ મેચમાં, શ્રીલંકાએ બાંગ્લાદેશને 32 બોલ બાકી રહેતા છ વિકેટથી એકતરફી રીતે હરાવ્યું હતું.

