વર્ષ 2025માં આ દિવસે છે 'સરસ્વતી પૂજા', જાણો ચોક્કસ તારીખ, શુભ મુહૂર્ત અને મહત્ત્વ

જ્ઞાન, બુદ્ધિ અને કલાના દેવી માતા સરસ્વતીને સમર્પિત વસંત પંચમીનો પવિત્ર તહેવાર દર વર્ષે મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ 2025માં, આ પવિત્ર તારીખ 2 ફેબ્રુઆરી 2025ના રોજ ઉજવવામાં આવશે. વસંત પંચમીનું માત્ર ધાર્મિક જ નહીં પરંતુ જ્યોતિષીય મહત્ત્વ પણ છે.
આ પણ વાંચો: નવા વર્ષના પહેલા દિવસે જ તુલસીને અર્પણ કરજો આ વસ્તુ, આખું વર્ષ રહેશે મા લક્ષ્મીની કૃપા
આ દિવસ જ્ઞાનના દેવી માતા સરસ્વતીને સમર્પિત છે. ચાલો જાણીએ કે વર્ષ 2025માં વસંત પંચમી અને સરસ્વતી પૂજા ક્યારે છે, આ દિવસનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્ત્વ શું છે અને પૂજાનું શુભ મુહૂર્ત કયું છે?
2025માં સરસ્વતી પૂજા ક્યારે છે?
કેલેન્ડર મુજબ, સરસ્વતી પૂજાનો તહેવાર દર વર્ષે મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ 2025માં, આ તિથી 2 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 9:14 વાગ્યે શરૂ થશે. આ તિથી 3 ફેબ્રુઆરી, 2025ના રોજ સવારે 6:52 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં સરસ્વતી પૂજા 2 ફેબ્રુઆરી 2025ના રોજ કરવામાં આવશે.
સરસ્વતી પૂજા 2025નું શુભ મુહૂર્ત
સરસ્વતી પૂજા 2 ફેબ્રુઆરી 2025ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાનું શુભ મુહૂર્ત સવારે 7:08 થી 12:34 સુધીનું રહેશે. આ મુહૂર્તમાં પૂજા કરવી ખૂબ જ શુભ રહેશે.
સરસ્વતી પૂજાની રીત
- સરસ્વતી પૂજાના દિવસે તમામ વિદ્યાર્થીઓએ સવારે સ્નાન કરવું જોઈએ.
- તે પછી પીળા રંગના કપડા પહેરો.
- ત્યારબાદ માતા સરસ્વતીની મૂર્તિને સ્વચ્છ સ્થાન પર સ્થાપિત કરો.
- આ પછી દેવી સરસ્વતીને સફેદ રંગના વસ્ત્રો અર્પણ કરો.
- પૂજા પછી દેવી સરસ્વતીના મંત્રોનો જાપ કરો.
- અંતે આરતી કરો અને દેવી સરસ્વતીને મીઠાઈ અર્પણ કરો.
- આ દિવસે પુસ્તકની પૂજા કરવામાં આવે છે અને દેવી સરસ્વતીની સામે રાખવામાં આવે છે.
સરસ્વતી પૂજાનું મહત્ત્વ
સનાતન ધર્મમાં સરસ્વતી પૂજાનું ઘણું મહત્ત્વ છે. આ દિવસે જ્ઞાનના દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ પૂજા ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. સરસ્વતી પૂજાના દિવસે અભ્યાસ શરૂ કરવાની પણ પરંપરા છે. આ દિવસે બાળકોને તેમના પ્રથમ મૂળાક્ષરો શીખવવામાં આવે છે.
માતા સરસ્વતીની પૂજા કરવાથી બાળકો બુદ્ધિ અને જ્ઞાન મેળવે છે. આ સાથે કલા સાથે જોડાયેલા લોકોએ પણ આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવી જોઈએ. માતા સરસ્વતીને કલાના દેવી તરીકે પણ પૂજવામાં આવે છે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

