VIDEO: Amarnath Yatra/ વિજ્ઞાન કે મહાદેવનો ચમત્કાર? માઈનસ ડિગ્રી વગર કેવી રીતે બને છે બર્ફાની શિવલિંગ?
અમરનાથ યાત્રા શરૂ થઈ ચૂકી છે અને ૩ જુલાઈથી ભક્તો બાબા બર્ફાનીના દિવ્ય દર્શન કરી શકશે. પણ શું તમે જાણો છો કે માઈનસ ડિગ્રી તાપમાન ન હોવા છતાં, ગુફાની અંદર ૧૨ થી ૧૮ ફૂટ ઊંચું બરફનું શિવલિંગ કેવી રીતે બને છે? વિજ્ઞાન આને 'આઈસ સ્ટેલેગમાઈટ' પ્રક્રિયા કહે છે, પણ આ રહસ્ય આજેય અકબંધ છે!
આ એ જ પવિત્ર ગુફા છે જ્યાં ભગવાન શિવે માતા પાર્વતીને 'અમરત્વની કથા' સંભળાવી હતી. કથા દરમિયાન માતા પાર્વતી ઊંઘી ગયા, પણ ત્યાં બેઠેલા કબૂતરના એક જોડાએ આખી વાર્તા સાંભળી લીધી અને તેઓ હંમેશા માટે અમર થઈ ગયા. આજે પણ શ્રાવણ મહિનામાં આ કબૂતરો અહીં જોવા મળે છે.
કુદરતનો ચમત્કાર કહો કે મહાદેવના પરચા, દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ આસ્થાના પ્રતીકના દર્શને પહોંચે છે. જો તમે પણ બાબા બર્ફાનીના ભક્ત હોવ, તો કોમેન્ટમાં લખો – હર હર મહાદેવ!
અમરનાથ યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે, અને 3 જુલાઈથી અમરનાથ ગુફામાં શ્રદ્ધાળુઓ દિવ્ય બરફના શિવલિંગના દર્શન કરી શકશે. ભગવાન શિવના આ અદ્ભુત સ્વરૂપના દર્શન માટે દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ લાંબી અને કઠિન યાત્રા ખેડીને અહીં પહોંચે છે. દર વર્ષે અમરનાથ ગુફામાં કુદરતી રીતે બનતું બરફનું શિવલિંગ લોકોમાં આસ્થા અને જિજ્ઞાસાનો વિષય બનેલું રહે છે. તેના બનવા પાછળ ધાર્મિક માન્યતાઓ સાથે વૈજ્ઞાનિક કારણો પણ જોડાયેલા છે. અમરનાથ ગુફામાં બરફનું શિવલિંગ કેવી રીતે બને છે, તેની પાછળ શું માન્યતા અને વિજ્ઞાન છે, સાથે જ ભગવાન શિવ અને માતા પાર્વતી સાથે જોડાયેલી પૌરાણિક કથા વિશે પણ વિગતવાર જાણીશું.
શું છે અમર કથા?
પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભગવાન શિવ પાસે માતા પાર્વતીએ અમરત્વનું રહસ્ય જાણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શિવજી જાણતા હતા કે, જો અમરત્વની કથા કોઈ અન્ય સાંભળી લે, તો તે પણ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈને પૃથ્વી પર અમર થઈ જશે. આ જ કારણે ભગવાન શિવએ માતા પાર્વતીને કથા સંભળાવવા માટે એકાંત સ્થળ પસંદ કર્યું. આ સ્થળનું નામ હતું અમરનાથ ગુફા. કથા સંભળાવતા પહેલા ભગવાન શિવએ માતાને કહ્યું કે, ધ્યાન રાખજો કે કથા સાંભળવા દરમિયાન તમારી સાથે કોઈ ન હોય. પછી ભગવાન શિવ માતા પાર્વતીને કથા સંભળાવવા લાગ્યા, જેને સાંભળતા સાંભળતા માતા પાર્વતીને ઊંઘ આવી ગઈ. જ્યારે મહાદેવની આંખ ખૂલી તો તેમણે જોયું કે કબૂતરની એક જોડી ત્યાં બેઠી છે, તેમણે ક્રોધ વ્યક્ત કર્યો. પરંતુ કબૂતરોએ માફી માંગી અને ભોળાનાથે તેમને માફ કરી દીધા, અને જીવનદાન આપ્યું. સાથે જ વરદાન આપ્યું કે, તમે બંને હંમેશા માટે અમર થઈ ગયા છો, અને હવે આ જ જગ્યાએ ભગવાન શિવ અને માતા પાર્વતીના પ્રતિક તરીકે નિવાસ કરશો. હવે એવું કહેવાય છે કે, શ્રાવણ મહિનામાં કબૂતરની જોડી શિવલિંગની આસપાસ જોવા મળે છે.
બરફથી શિવલિંગ બનવાની કથા
રસપ્રદ વાત એ છે કે, દર વર્ષે અહીં બરફનું શિવલિંગ બનીને તૈયાર થઈ જાય છે, અને આ રહસ્યને આજ સુધી વિજ્ઞાન પણ ઉકેલી શક્યું નથી કે, આવું કેવી રીતે થાય છે. એવું કહેવાય છે કે, આ શિવલિંગનું નિર્માણ ગુફાની છત પરથી ટપકતા પાણીના ટીપાંથી થાય છે. પડતા ટીપાં એટલા ઠંડા હોય છે કે નીચે પડતા જ, બરફનું રૂપ લઈને કઠણ થઈ જાય છે. આ ક્રમ સતત ચાલતો રહે છે, અને બરફનું 12 થી 18 ફૂટ સુધી ઊંચું શિવલિંગ બની જાય છે. સતત પાણી ટપકતું રહે છે, જેના કારણે શિવલિંગ ઉપરથી ગોળ થઈ જાય છે.
શું કહે છે વિજ્ઞાન
વિજ્ઞાનનું માનવું છે કે, પાણીના ટીપાંથી બરફ ત્યારે જ જામશે, જ્યારે તાપમાન શૂન્ય ડિગ્રીની આસપાસ હોય, પરંતુ અમરનાથ યાત્રા દરમિયાન આ સ્થળનું તાપમાન શૂન્યથી ઉપર હોય છે. આ પ્રક્રિયાને કુદરતી બરફ સંચય (Ice Stalagmite Formation) સાથે જોડવામાં આવે છે. જે રીતે કેટલીક ગુફાઓમાં ખનિજ પદાર્થોના સ્તર જામીને આકૃતિ બનાવે છે, તેવી જ રીતે અહીં પાણીના ટીપાં જામીને બરફની આકૃતિ તૈયાર કરે છે.

