VIDEO: અગ્નિ પણ જેને ન બાળી શકી! જાણો કયા મંદિરમાં આજેય ધબકી રહ્યું છે દ્વારિકાધીશનું હૃદય?
ભગવાન શ્રીકૃષ્ણના મહાપ્રસ્થાન અને તેમના દિવ્ય હૃદયની આ પરમ પવિત્ર તથા રહસ્યમય કથા સદીઓથી ભારતીય સંસ્કૃતિની અજોડ આસ્થાનું પ્રતીક રહી છે. જગન્નાથપુરીના મંદિરમાં બિરાજમાન કાળિયા ઠાકોરના હૃદય સાથે જોડાયેલી આ રોચક કથા છે.
જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનું શરીર પંચતત્વમાં વિલીન થયું, પણ હૃદય ધબકતું રહ્યું
મહાભારતના યુદ્ધના ઘણા સમય પછી દ્વારિકાધીશ ભગવાન શ્રીકૃષ્ણ વનમાં એક વૃક્ષ નીચે વિશ્રામ કરી રહ્યા હતા. તે સમયે તેમણે પોતાનો એક પગ બીજા પગ પર ચડાવેલો હતો. ત્યાંથી પસાર થતાં જરા નામના એક શિકારી ઝાડીઓમાંથી ભગવાનના પગનું તળિયું કોઈ હરણ કે પક્ષીની લાલ આંખ જેવું લાગ્યું. તેણે અજાણતા જ ત્યાં તીર ચલાવ્યું, જે પ્રભુના પગના તળિયામાં સોંસરવું નીકળી ગયું અને આ લીલા સાથે ભગવાને પોતાનો દેહત્યાગ કર્યો.
જ્યારે પાંડવોને આ દુઃખદ સમાચાર મળ્યા, ત્યારે તેઓ તુરંત વનમાં પહોંચ્યા અને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે ભગવાન શ્રીકૃષ્ણના પાર્થિવ દેહના અગ્નિસંસ્કાર કર્યા. અગ્નિની જવાળાઓમાં પ્રભુનું આખું શરીર પંચતત્વમાં ભળી ગયું, પરંતુ તેમનું હૃદય અગ્નિથી બળ્યું નહીં અને તે એમને એમ ધબકતું રહ્યું! આ જોઈ વિસ્મય પામેલા પાંડવોએ તે પવિત્ર ધબકતા હૃદયને આદરપૂર્વક સમુદ્રના જળમાં પ્રવાહિત કરી દીધું.
જ્યારે દરિયાકાંઠે લાકડાના ટુકડા સ્વરૂપે મળ્યું પ્રભુનું હૃદય
સમુદ્રના મોજાંઓ સાથે વહેતું વહેતું ભગવાન શ્રીકૃષ્ણનું એ દિવ્ય હૃદય ઓડિશાના પુરીના સમુદ્રતટે આવી પહોંચ્યું. ત્યાં સુધીમાં તે હૃદયે એક લાકડાના દિવ્ય ટુકડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તે જ રાત્રે પુરીના પરમ ભક્ત રાજા ઇન્દ્રદ્યુમ્નને સપનામાં ભગવાને દર્શન આપ્યા અને સમુદ્ર કિનારે આવેલા આ દિવ્ય લાકડાના ટુકડા વિશે જણાવ્યું.
બીજી જ સવારે રાજા ઇન્દ્રદ્યુમ્ન સમુદ્ર કિનારે પહોંચ્યા અને પવિત્ર મંત્રોચ્ચાર સાથે તે લાકડાના ટુકડાને આદરપૂર્વક મહેલમાં લાવ્યા.
દેવશિલ્પી વિશ્વકર્માએ કંડારી મૂર્તિઓ
ભગવાનના આદેશથી દેવતાઓના શિલ્પી વિશ્વકર્માજીએ એક વૃદ્ધ કારીગરનું રૂપ ધારણ કરી તે જ દિવ્ય લાકડાના ટુકડામાંથી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓ તૈયાર કરી. આ ત્રણેય મૂર્તિઓને પુરીના જગન્નાથ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી.
એવું માનવામાં આવે છે કે આ મૂર્તિઓની અંદર જ ભગવાન શ્રીકૃષ્ણનું તે પવિત્ર હૃદય સુરક્ષિત રાખવામાં આવ્યું છે, જે આજે પણ ધબકે છે અને જેને 'બ્રહ્મ પદાર્થ' તરીકે ઓળખવામાં આવે છે.
દર 15 કે 20 વર્ષે બદલાય છે મૂર્તિઓ: 'નવકલેવર' વિધિ
પુરીના મંદિરમાં સ્થાપિત કાષ્ટ (લાકડા)ની આ મૂર્તિઓ કાયમ માટે રહેતી નથી. દર 15 કે 20 વર્ષે (જ્યારે અષાઢ મહિનામાં અધિક માસ આવે ત્યારે) આ મૂર્તિઓને બદલવામાં આવે છે, જેને 'નવકલેવર ઉત્સવ' કહેવામાં આવે છે.
લીમડાના ખાસ પવિત્ર વૃક્ષના લાકડામાંથી નવી મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે.
મૂર્તિઓ બદલતી વખતે આખા પુરી શહેરની વીજળી બંધ કરી દેવામાં આવે છે અને ગર્ભગૃહમાં ઘનઘોર અંધારું કરવામાં આવે છે.
જે પુજારી મૂર્તિ બદલવાના હોય છે તેમની આંખો પર પટ્ટી બાંધવામાં આવે છે અને હાથમાં મોજા પહેરાવવામાં આવે છે.
એ પુજારી જૂની મૂર્તિમાંથી ધબકતા 'બ્રહ્મ પદાર્થ' (શ્રીકૃષ્ણના હૃદય)ને કાઢીને નવી મૂર્તિમાં સ્થાપિત કરે છે. કહેવાય છે કે આ બ્રહ્મ પદાર્થ એટલો તેજસ્વી અને દિવ્ય છે કે જો કોઈ તેને ખુલ્લી આંખે જોઈ લે, તો તેના પ્રાણ પંખેડા ઉડી જાય.
દર વર્ષે યોજાય છે વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા
દર વર્ષે અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે ભવ્ય રથોમાં સવાર થઈને નગરચર્યાએ નીકળે છે અને માસી ગુંડિચાના ઘરે જાય છે. આ રથયાત્રાના સાક્ષી બનવા અને પ્રભુનો રથ ખેંચવા દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ પુરીના રાજમાર્ગો પર ઉમટી પડે છે. એવી અતૂટ શ્રદ્ધા છે કે જે વ્યક્તિ જગન્નાથજીના રથને ખેંચે છે તેને મોક્ષ મળે છે અને તે સંસારના જન્મ-મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે.

