આ નાની ભૂલોને કારણે પૂજાનું ફળ મળતું નથી; સુખ-સમૃદ્ધિ માટે અનુસરો આ 4 ખાસ નિયમો

સનાતન ધર્મમાં દરરોજ સવાર-સાંજ ભગવાનની પૂજા કરવાની પરંપરા છે. માનવામાં આવે છે કે નિયમબદ્ધ પૂજા કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. પૂજા કરતી વખતે કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે.
મંદિર સ્વચ્છતા રાખવું
પૂજામાં પવિત્રતા અને સ્વચ્છતાનું વિશેષ મહત્વ છે. પૂજા શરૂ કરતા પહેલા દેવસ્થાનને સાફ કરવું જોઈએ. સૌથી પહેલા ભગવાનની મૂર્તિઓ કે છબીઓને કોઈ સ્વચ્છ સ્થાને રાખી, આખા મંદિરને સ્વચ્છ જળથી સાફ કરો. વાસી ફૂલો દૂર કરી, દેવતાઓને સ્નાન કરાવો અને ત્યારબાદ તેમને તેમના મૂળ સ્થાને પધરાવી નવા ફૂલોથી મંદિરને શણગારો.
આસન પર બેસીને પૂજા કરવી
શાસ્ત્રો અનુસાર પૂજા હંમેશા આસન પર બેસીને જ કરવી જોઈએ. આસન વિના અથવા સીધા જમીન પર બેસીને પૂજા કરવી ઉચિત નથી. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે યોગ્ય આસન જ મનની એકાગ્રતા અને દેવત્વ પ્રદાન કરે છે. ક્યારેય ઊભા રહીને પૂજા ન કરવી જોઈએ.
મંત્રોચ્ચારનું મહત્વ
પૂજા દરમિયાન મંત્રોનો જાપ અવશ્ય કરવો જોઈએ. નિયમિત અને શુદ્ધ મંત્રોચ્ચારથી મંત્રો સિદ્ધ થાય છે અને તેનું પૂર્ણ ફળ મળે છે. જોકે, ખાસ ધ્યાન રાખવું કે મંત્રોનો ઉચ્ચાર એકદમ સ્પષ્ટ અને સાચો હોય. જો ઉચ્ચારણ શુદ્ધ ન કરી શકતા હોવ, તો મંત્ર વાંચવાને બદલે મનમાં તેનું સ્મરણ કરવું વધુ હિતાવહ છે.
પૂજા બાદ આસન ઉપાડવાના નિયમ
ઘણા લોકો પૂજા પૂર્ણ કર્યા બાદ આસન ત્યાં જ છોડીને ઊભા થઈ જાય છે, જે અયોગ્ય છે. આવું કરવાથી પૂજાનું સંપૂર્ણ ફળ મળતું નથી અને દોષ લાગે છે. પૂજા સંપન્ન થયા પછી આસન પર ફૂલ અને કુમકુમ અર્પણ કરીને અને જળ છાંટીને જ ઊભા થવું જોઈએ. ત્યારબાદ આસનને યોગ્ય રીતે વાળીને તેના સ્થાને મૂકવું જોઈએ.

