Sahiyar: ચહેરા પર વેક્સિંગ કર્યા બાદ આ ઉપચાર કરવાથી રેસિષથી મળી શકે છે રાહત!

- જયવિકા આશર
પ્રશ્ન:
હું ૨૫ વર્ષની યુવતી છું. મારા ચહેરા પર વાળ હોવાથી હું વેક્સિંગ કરાવું છું. પરંતુ તેનાથી મારા ચહેરા પર રેસિષ થઇ જાય છે. અને તેમાં મને ખંજવાળ આવે છે. મારી આ સમસ્યાનું નિવારણ કરતા ઉપચાર જણાવશો.
* વેક્સિંગ કર્યા બાદ પુષ્કળ પ્રમાણમાં આઇસ વોટર ચહેરા પર લગાડો. તેમજ એસ્ટ્રીજન્ટ લોશન લગાડશો. એલોવિરા જેલ લગાડવાથી પણ ફાયદો થશે. છતાં પણ ફાયદો ન થાય તો ત્વચા નિષ્ણાંતની સલાહ લેશો. લેસર ટ્રીટમેન્ટથી પણ વાળ દુર કરાવી શકાય છે. તો તમે તે પધ્ધતિ અપનાવી શકો છો.
પ્રશ્ન:
હું ૧૮ વરસની યુવતી છું. મારા ચહેરા પર ડાઘા પડી ગયા છે. મને ખીલ થતા નથી તે જાણશો. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઉપચાર જણાવશો.
* એક ચમચી સંતરાની સુકી છાલનો પાવડર,એક ચમચી ચંદન પાવડર, બે ચમચી મુલતાની માટીનું મિશ્રણ કરવું અને પેસ્ટ બનાવવા જોઇતા પ્રમાણમાં ગુલાબજળ ઉમેરવુ. ચહેરા પર લગાડી સુકાઇ જાય બાદ ચહેરો ધોઇ નાખવો. લીંબુનો રસ અને મધનું મિશ્રણ ડાઘા પર લગાડવાથી ફાયદો કરે છે. વિટામીન 'સી' ની ૧૦૦૦ મિલિગ્રામ વાળી એક ગોળી રોજ એક મહિના સુધી તબીબની સલાહ લઇ ખાવી.દિવસના સમયમાં સનસ્ક્રીન નો ઉપયોગ કરવો.
પ્રશ્ન:
હું ૨૨ વર્ષની યુવતી છું. મારી ત્વચા નિસ્તેજ તથા રૂક્ષ થઇ ગઇ છે. મારી આ સમસ્યાનું નિવારણ કરતા ઉપચાર જણાવશો.
* ચહેરો ધોવા માટે સાબુના સ્થાને ફેસવોસનો ઉપયોગ કરશો. એક ચમચી દહીં,અડધા લીંબુનો રસ,ચપટી મીઠું અને અડધી ચમચી મધ લઇ પેસ્ટ બનાવી ચહેરા પર હળવ હળવે બે મિનિટ મસાજ કરવો. ૨૦ મિનિટ રહેવા દઇ ચહેરો ધોઇ નાખવો.તેમજ 'સનસ્ક્રીન એસપીએફ ૨૫' દિવસના સમયમાં લગાડવું. દિવસમાં ૧૦-૧૫ ગ્લાસ પાણી પીવું.
પ્રશ્ન:
હું ૩૨ વર્ષની ગૃહિણી છું. મારા નખને ઇન્ફેકશન લાગી ગયું હતું ત્યાર બાદ મારા નખ પીળા પડી જાય છે અને વધતા નથી. તરત જ તૂટી જાય છે. મારી આ સમસ્યાનું નિવારણ કરતો ઉપચાર જણાવશો.
* નખમાં ફંગસ થઇ ગઇ હોવાથી જ તમને નખમાં ઇનફેકશન થાય. અને તે મટતાં સમય લાગશે. હુંફાળા ઓલિવ ઓઇલમાં નખને ૨૦ મિનિટ રોડ ડુબાડશો, પરંતુ તેનાથી પણ પુરા ફાયદો નહીં થાય. તમે ત્વચા નિષ્ણાંતની સલાહ લો.
પ્રશ્ન:
હું ૨૬ વર્ષની યુવતી છું. મારો બાંધો ખૂબ જ પાતળો હોવાથી મારા સ્તન અવિકસિત લાગે છે. મારા લગ્ન હવે થવાના છે. મારે કઇ રીતે સાડી પહેરવી તે જણાવશો જેથી મારા ઉરજો સાવ બેસેલા ન લાગે. મારી આ મૂંઝવણ દુર કરતું માર્ગદર્શન આપશો.
* સ્તન અવિકસિત હોય તો બજારમાં મલતી પેડેટ બ્રા પહેરો તેમજ બ્લાઉઝ પણ કટોરી વાળા કરાવો જેથી ઉરજો ઉપસેલા દેખાય. સાડી સાથે પહેરનારું બ્લાઉઝ મેચિંગ લેવું કે કોન્ટ્રાસ્ટ તે તમે પુછ્યું છે પરંતુ તે તો સાડીનું કપડું ડિઝાઇન તથા રંગ જોઇને નક્કી થાય એમ હું સલાહ આપી શકું નહીં. તમારા લગ્ન થવાના હોય ત્યારે જે ડિઝાઇનો, રંગ તથા કપડું ચલણમાં હોય તેવી સાડીની ખરીદી કરવી. હાલ તો ભરતકામ કરેલ સાડીનું ચલણ જોરમાં છે. છતાં લોકો પોતાની પસંદગી પ્રમાણે ટ્રેડીશનલ કપડું તથા ડિઝાઇન પસંદ કરતા હોય છે. દરેક પ્રસંગનેે ધ્યાનમાં રાખી સાડીની ખરીદી કરવી. બધી જ ખૂબ ભારી કે ભધી જ હલકીફૂલકી લેવી નહીં. હવે તો મોટા ભાગની સાડીઓ સાથે જ બ્લાઉઝ પીસ આવતા હોય છે તેથી તે જ પ્રમાણે બાલાઉઝ કરાવવા.

