Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Son's marriage is falling apart due to mother's selfish nature

Sahiyar : મૂંઝવણ: માતાના સ્વાર્થી સ્વભાવના કારણે પુત્રના લગ્ન જીવનમાં પડી રહ્યું છે ભંગાણ 

Timeછેલ્લું અપડેટ : 28 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar : મૂંઝવણ:  માતાના સ્વાર્થી સ્વભાવના કારણે પુત્રના લગ્ન જીવનમાં પડી રહ્યું છે ભંગાણ 
સોર્સ : GSTV

- અનિતા

App Store

હું ત્રીસ વર્ષની પરિણીત મહિલા છું. મારે  એક સંતાન છે. કેટલાક વર્ષો પૂર્વે મારા પતિને અકસ્માત થયો હતો તેમાં તેની એક વૃષણગ્રંથી કાઢી નાખવી પડી હતી. જો કે આ કારણે અમારી સેક્સ લાઈફમાં કોઈ ફરક પડયો નથી. મને પણ પૂર્ણ સંતોષ મળે છે. પરંતુ મારા પતિ હીણપતની ભાવનાથી પીડાય છે. શું આ માટે વૃષણ ગ્રંથિનું આરોપણ શક્ય છે? શક્ય હોય તો તે ક્યાં થઈ શકે છે?

એક પત્ની (ડાકોર)

* આ માટે વૃષણ ગ્રંથિના આરોપણની કોઈ જરૂર નથી. પૌરૂષત્વ માટે એક વૃષણ ગ્રંથિ પૂરતી છે. પિતા બનવાની ક્ષમતામાં પણ આ કારણે કોઈ ફરક પડતો નથી. સાથે તમારા પતિએ આને લગતી ચિંતા છોડી દેવાની જરૂર છે. હા, તેમને હૉર્મોન્સ લેવા દેતા નહીં. આ કારણે તકલીફ થવાનો ડર છે.

મારી મમ્મી હંમેશા પોતાનું ધાર્યું જ કરતી આવી છે. લગ્ન પૂર્વે મારે તેના કહ્યામાં રહેવું પડતું હતું. હવે મારા લગ્ન થઈ ગયા પછી પણ તે મારી જિંદગીમાં ડખલ કર્યા કરે છે. મારા સાસરિયા જોડેના સંબંધમાં પણ તે મને સલાહ આપે છે. પરંતુ મને આ ગમતું નથી. આને કારણે અમારા પતિ-પત્નીના સંબંધમાં પણ તિરાડ પડતી જાય છે મારે શું કરવું?

એક પત્ની (આણંદ)

તમારી મમ્મી સ્વાર્થી સ્વભાવની લાગે છે. તેને દાદાગીરી કરી પોતાનું ધાર્યું કરાવવાની આદત પડી ગઈ હોય તેવું લાગે છે. તમને આ વાત કદાચ મુશ્કેલ તો લાગશે જ પરંતુ તમારે ક્યારે તો તમારી મમ્મીના પડછાયામાંથી બહાર આવવું જ પડશે. તમારે તમારી મમ્મી સાથે ચર્ચા કરી તેને ચોખ્ખા શબ્દોમાં જણાવી દેવું જોઈએ કે તમે તમારી રીતે જિંદગી જીવવા માગો છો. આમ નહીં કરો તો તમારા સુખી સંસારમાં આગ લાગવાનો સંભવ છે. કોઈપણ પતિ કે તેના કુટુંબીજનો પતિના ઘરમાં અન્યનો પ્રભાવકે દાદાગીરી સહન ન કરે એ સ્વાભાવિક છે. તમારે તમારા સાસરિયા પાસે અળખામણા ન થવું હોય અને તમારો સંસાર ટકાવી રાખવો હોય તો તમારી મમ્મી ને શાંતીથી સમજાવ્યે જ છૂટકો.

મારી ઉંમર ૨૦ વર્ષની છે મને અંધારાનો ખૂબ જ ડર લાગે છે. બાળપણમાં એક અપ્રિય ઘટના બનવાને કારણે મારા મનમાંથી અંધારાનો ડર જતો નથી મારે શું કરવું?

એક યુવતી (બોટાદ)

* બાળકોમાં અંધારાનો ડર સામાન્ય છે. આ ડર કિશોરાવસ્થા પછી ધીરે ધીરે દૂર થતો જાય છે. પરંતુ તમારો કિસ્સો અલગ છે. તમારે કોઈ મનોચિકિત્સકની સલાહ લેવાની જરૂર છે. કોઈ પાસે તમારું દિલ હળવું કરવાનો પ્રયત્ન કરો. આ ડર ફોબિયામાં ન ફેરવાઈ જાય એનું ધ્યાન રાખો. હિપ્નોટીસ્ટની સલાહ લેવાથી પણ મનની અંદર સમાયેલો આ ડર દૂર થવામાં સહાય મળશે.

મારી ઉંમર ૨૧ વર્ષની છે. મારા પ્રેમીએ એક અન્ય યુવતી માટે મને દગો આપ્યો હતો એને બતાડી આપવા મેં એક અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. આ યુવક મને ખૂબ જ પ્રેમ કરે છે અને મારી સાથે લગ્ન કરવા પણ ઈચ્છે છે. મારી સમસ્યા એ છે કે મારો જૂનો પ્રેમી હવે મને તેની સાથે ફરી સંબંધ સ્થાપવા જણાવી રહ્યો છે. મને પણ આ સુઝાવ પસંદ છે. હું તેને હજુ પણ ભૂલી શકી નથી. પરંતુ મારા હાલના પ્રેમીને દુ:ખ થાય એવું પણ હું કરવા માગતી નથી. મારું મન ખૂબ જ દ્વિધામાં અટવાય છે. આ કારણે અભ્યાસમાં પણ ધ્યાન રહેતું નથી મારે શું કરવું?

એક યુવતી (વડોદરા)

* ધ્યાનમાં રહે તમારો જૂનો પ્રેમી તમને ફરી છેતરી શકે છે. તે તમારી સાથે સ્થાયી સંબંધ બાંધી શકે એ વાતમાં માલ નથી. તે ચંચળ મનો વૃત્તિનો લાગે છે. તેની સરખામણીમાં તમારો હાલનો પ્રેમી ધીર ગંભીર સમજુ તો છે જ પરંતુ તમને સ્થાયી સંબંધની ભેટ આપી શકે છે. જો કે તમારા નવા પ્રેમીની નિષ્ઠામાં તમને શક ન હોય તો આ બાબત દીવા જેવી સ્પષ્ટ છે. દ્વિધામાં અટવાવાનો કોઈ પ્રશ્ન જ ઉદ્ભવતો નથી.

મારી ઉંમર ૫૦ વર્ષની છે. મૃત્યુબાદ દેહદાન કરવાની મારી ઈચ્છા છે. મારા પતિ અને બાળકો મારી આ ઈચ્છાની વિરુધ્ધ છે. આથી મારે ચૂપચાપ આ કામ કરવું છે. આ માટે ક્યાં સંપર્ક સાધવો એ અંગે યોગ્ય સલાહ આપવા વિનંતી.

એક સ્ત્રી (નડિયાદ)

* મૃત્યુબાદ પણ અન્ય લોકોને મદદરૂપ થવાની તમારી ભાવના ખરેખર પવિત્ર છે. તમારું આ કાર્ય અન્યને પ્રેરણારૂપ થઈ શકે તેવું છે. તમારા કુટુંબીજનોને શો વાંધો છે એની મને સમજ પડતી નથી. સૌ પ્રથમ તમારા વકીલની સલાહ લઈને તમે એક વીલ બનાવો. તેમાં તમારી આ ઈચ્છાનો ઉલ્લેખ કરો. ત્યાર પછી સ્થાનિક હૉસ્પિટલની મુલાકાત લઈ તમારું નામ ભવિષ્યના દાતા તરીકે રજીસ્ટર કરવું.