Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : In this heat, insist on these indigenous drinks that will cool your body and soothe your mind!

Sahiyar: ગરમીમાં તનને ઠંડક અને મનને રાહત આપે તેવા આ દેશી પીણાંનો રાખો આગ્રહ!

Timeછેલ્લું અપડેટ : 21 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar: ગરમીમાં તનને  ઠંડક અને મનને રાહત આપે તેવા આ દેશી પીણાંનો રાખો આગ્રહ!
સોર્સ : GSTV

- મહેશ ભટ્ટ

App Store

એક તરફ હરિયાળુ આવરણ ઘટતું જાય છે તો બીજી તરફ વાયુ પ્રદૂષણ અને  વૈશ્વિક તાપમાન વધે છે. પરિણામે ઉનાળો આવતાંની સાથે જ વધતા જતા પ્રમાણમાં આકરો થતો જાય છે. ગ્રિષ્મની લૂ ઝરતી ગરમી, અસહ્ય ઉકળાટ, પરસેવે નીતરી જવાય તેવો બફારો હોય ત્યારે તનને ઠંડક અને મનને રાહતનો અનુભવ થાય એ માટેના ઉપાયોમાં વિવિધ પીણાંનો પણ સહારો લેવામાં આવે છે.

છાશ, પન્ના તરીકે પણ જાણીતો કાચી કેરીનો બાફલો, જલજીરા, શેરડીનો રસ, લીંબૂ સત્તુ, ખસ, ગુલાબ, બીલાં તેમજ ફૂદીનાનું શરબત, નાળિયેર પાણી, આમળાનો રસ, તરબૂચનો જ્યૂસ અને લસ્સી ઉનાળાનાં શ્રેષ્ઠ દેશી પીણાં છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ પીણાંના  અલગ અલગ લાભ છે. પણ કોમન લાભ જોઈએ તે આ કાળઝાળ ગરમીમાં શરીરને હાઈડ્રેટેડ રાખવા સાથે ઠંડક આપે છે.લૂથી બચાવે છે, પાચન સુધારે છે અને એનર્જી પણ આપે છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે. 

ઉનાળામાં શરીરને ઠંડક અને તાજગી જોઈએ. પરસેવાથી રેબઝેબ કરતા અને થકવી નાખતા બળબળતા બપોરે આવાં સ્વાસ્થ્યવર્ધક દેશી પીણાં ઠંડક સાથે રાહત આપે છે. આ ઋતુમાં સખત તરસ લાગે, ગળું સૂકાય અને સોસ પડે ત્યારે કોલ્ડ ડ્રિન્કસ, પેક્ડ ફ્લેવર્ડ જ્યૂસ,આર્ટિફિશિયલ પીણાં પીવાં કે આઇસક્રીમ ખાવો આરોગ્યવર્ધક નથી.                                                 

એને બદલે દેશી પીણાં કે માટલાના ઠંડા પાણીનો આગ્રહ રાખવો. પરસેવા વાટે શરીરનું ઘણું પાણી તથા મિનરલ્સ બહાર વહી જાય છે.જેથી શરીરનું પાણી ઓછું (ડિહાઈડ્રેશન)થવાની અને હિટસ્ટ્રોકની સમસ્યા થઈ શકે છે. એ ટાળવામાં આપણાં દેશી પીણાં ઉપયોગી છે.

સહેલાઈથી ઓછા સમયમાં તૈયાર થાય અને હાથવગાં એવાં ઉનાળાનાં સુપરડ્રિંકમાં છાશ/લસ્સીનો પણ સમાવેશ થાય છે. આ  બન્નેના આરોગ્યવર્ધક ગુણ લગભગ સરખા છે. 

લસ્સીના ગુણ વિગતે આ મુજબ છે

લસ્સી મૂળ તો ઉત્તર ભારત અને વિશેષ તો પંજાબનું દહીં, પાણી, મસાલા, ખાંડ કે મીઠાના મિશ્રણથી બનતું પરંપરાગત લોકપ્રિય પીણું છે. જે સદીઓથી પંજાબની સંસ્કૃતિનો ભાગ છે. ભારતીયો જ્યાં ગયા ત્યાં ભારતીય સંસ્કૃતિની છાંટ ફેલાવી.આને પરિણામે વર્ષોથી વિદેશોમાં વિદેશીઓનાં રેસ્ટોરન્ટ, હોટેલેમાં પણ લસ્સી આજ નામે મળે છે.

લસ્સીમાં અનેક પોષક તત્વો છે. સ્નાયુઓને મજબૂત બનાવવામાં તે મદદ કરે છે.તેમાંના કેલ્શિયમથી હાડકાં મજબૂત બને છે.શરીરને પ્રોટિન મળે છે અને ઉર્જા(એનર્જી)નું પ્રમાણ વધારે છે. પાચનતંત્રને ઠંડક આપે છે. તેની ખાસિયત એ છે કે ડાયાબિટિક પણ તે પી શકે છે. જો કે, તેમણે લસ્સીમાં ખાંડને બદલે જેનાં પાન ખાંડ કરતાં અનેક ગણાં મીઠાં છે એ મધુ તુલસી(સ્ટીવિયા) નાખવી જોઈએ.

વળી, શરદી-કફની પ્રકૃતિ હોય એવા લોકો માટે લસ્સી લાભકારક નથી. અન્યથા, રોજ તેનું સેવન હિતકારી છે.તેનાથી લાંબા ગાળે કોઈ પણ આડઅસર વગર તંદુરસ્તીમાં વધારો થાય છે.

શરીરના તાપમાનનું નિયંત્રણ લસ્સી

એવું ઠંડું પીણું છે જે શરીરની ગરમી ઘટાડે છે. તેમાં ઈલેક્ટ્રોલાઈટસ(શરીરનું અસ્તિત્વ  ટકાવવા જરુરી ખનિજો જે પાણીમાં ઓગળી શકે છે) તથા પાણી પણ સારા એવા પ્રમાણમાં હોય છે. જે ડિહાઈડ્રેશન ઓછું થવામાં ઉપયોગી છે.                 

રોગપ્રતિકારક શકિતમાં વધારો

લસ્સીમાં લેક્ટિક એસીડ પુષ્કળ પ્રમાણ - મહેશ ભટ્ટ હોય છે જે રોગ સામે રક્ષણ આપવા સાથે રોગપ્રતિકારક શકિત વધારે છે.

પાચનશક્તિમાં વધારો

લસ્સીમાં પ્રોબાયોટિક(જીવન માટે યોગ્ય સૂક્ષ્મજીવો) અને આંતરડાં માટે લાભકારક બેક્ટેરિયા છે.

જે પાચનક્રિયાને સરળ બનાવે છે.આ પીણું પચવા વિશેની તમામ સમસ્યામાં તરત જ રાહત આપે છે.

બ્લડપ્રેશરનું નિયમન

નિયમીતપણે લસ્સીના સેવનથી બ્લડપ્રેશર રાબેતા  મુજબનું રહેતું હોવાનું જણાયું છે. લસ્સીમાંનું પોટેશિયમ અને રિબોફ્લેવિન (વિટામીન બી ટુ)બ્લડપ્રેશરમાંના વધારાને નૈસર્ગિક રીતે ઘટાડે છે.

એસિડિટીનું ઉત્તમ ઓસડ

જઠરમાં ગયલા ખોરાકમાંના મરીમસાલાની તીખાશને લસ્સી હળવી કરે છે એ સાથે જઠરની અંદરની બાજુની ત્વચા પરના સોજાને ઓછો કરે છે. જેથી એસિડિટીમાં રાહત રહે છે. આ મધુર પીણું અપચાની અને  હૃદયમાં બળતરાની તકલીફમાં રાહત આપે છે.

વજન ઘટાડવામાં ઉપયોગી

લસ્સીમાં ઝાઝી કેલેરી ન હોવા સાથે તેમાં ફેટ પણ હોતી નથી. પરિણામે વેઈટ લોસ માટેના ડાયેટમાં ઘણી વખત લસ્સીની પણ ભલામણ કરાય છે. ખાંડ વગરની લસ્સી પીવાય તો તે વજન ઘટાડવામાં તથા પેટની ચરબી ઓછી કરવામાં તે સહાય કરે છે.

કેલ્શિયમનો સ્રોત

લસ્સી કેલ્શિયમ મેળવવાનો સારો સ્રોત છે.તે નિયમીતપણે લેવાય તો હાડકાં  મજબૂત અને નિરોગી રહે છે.એક કપ જેટલી લો કેલેરી લસ્સીમાંથી ૨૮૬ ગ્રામ કેલ્શિયમ મળી રહે છે.જે રોજિંદી જરૂરિયાતના ૩૦ ટકા જેટલું છે.

વાર્ધક્યને દૂર રાખે છે

નિયમીતપણે લસ્સીનું સેવન વ્યકિતને તરોતાજી રાખવા સાથે વૃદ્ધત્વનાં લક્ષણો દૂર રાખે છે. લસ્સીમાં  લેક્ટિક એસીડ હોય છે.જેના તેજાબી ઉપરાંત ત્વચા સંકોચાય  એવા ગુણધર્મ  છે.

આનો લાભ એ કે ચામડી પરના ડાઘ,ખીલ વગેરે દૂર થાય છે તથા ત્વચાની શિથિલતા, કરચલી દૂર થઈ ત્વચા યુવાવસ્થાની હોય એવી થઈ જાય છે. 

લસ્સીના અન્ય સ્વાસ્થ્યપ્રદ લાભ પણ જાણવા જેવા છે.જેમકે,તેનાથી થાક દૂર થઈ તાત્કાલિક ઉર્જા (ઈન્સ્ટન્ટ એનર્જી) પ્રાપ્ત થાય છે.કબજિયાત,ગેસની સમસ્યા દૂર થાય છે.તેમાંના કેલ્શિયમથી હાડકાં અને માંસપેશીઓના દુ:ખાવામાં રાહત મળે છે.

સ્ટ્રેસ અને ટેન્શન દૂર થાય છે.તેના ગુણોથી ચહેરા પર કુદરતી નિખાર આવે છે. લિવરને   સ્વસ્થ રાખે છે.લસ્સીમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન,વિટામીન એ,સી અને ડી,ફોલિક  એસિડ,કાર્બોહાઈડ્રેટ હોવા સાથે કેલ્શિયમ, મેગ્નેશિયમ,પોટેશિયમ, ફોસ્ફરસ  ફાઈબર  અને ઝિંક પણ  હોય છે.આ તમામ  તત્વો સ્વાસ્થ્યને પોષક છે. આવી ગુણકારી લસ્સી પીવાનો યોગ્ય અને  ઉત્તમ સમય બપોરનો છે.

લસ્સી એ દહીંનું જ ખાંડ કે મીઠું નાખેલું સ્વરૂપ છે. ભારતીય સંસ્કૃતિમાં દહીંને  સ્વાસ્થ્યવર્ધક ખાદ્ય પદાર્થ તથા શુભ શુકનના પ્રતીક તરીકે સદીઓથી મહત્વ અપાયેલું છે. અને શુભ પ્રસંગે તથા મુસાફરી,પરીક્ષા પહેલાં સફળતા અને સુરક્ષાની ભાવના સાથે દહીં અને સાકર ખાવાની પરંપરા છે.ધામક પૂજા અને ક્રિયાકાંડમાં મહત્વના પંચામૃતમાં પણ તેનો સમાવેશ થયો છે. આયુર્વેદમાં તો આઠ પ્રકારનાં પ્રાણીનાં દૂધ અને દહીંનું  વર્ણન કરવામાં આવ્યું છે.પરંતુ  રોજિંદા  વપરાશમાં ગાય અને ભેંસનું દૂધ-દહીં જ   પ્રચલિત છે.     

દહીંમાં કંઈક  તો એવા ગુણ છે કે જેના કારણે અપરંપાર ઐશ્વર્ય હાથવગું હોવા છતાં ત્રિભુવનનાથ બીજા કશા માટે નહીં અને કેવળ દહીં માટે ઘેલા બન્યા.! અને અનેક સદીઓ પછી પણ આજે દહીં માટેની એ ઘેલછા  દહીં હાંડીના તહેવાર  સ્વરુપે  યાદ કરાય  છે!દહીં અને ભગવાન કૃષ્ણનો સંબંધ  અતૂટ અને દૈવી છે.બાળસ્વરુપે માખણ અને દહીંની 'ચોરી' કરી માખણચોર તરીકે ઓળખાઈને પણ ગોકુળના આ ગોપબાળે  એક અર્થમાં તો  તો ગાય અને મહી(દહીં)નો જ મહિમા પ્રસ્થાપિત  કર્યો છે. બાળલીલા અને દાણલીલા કૃષ્ણના જીવનની મધુર લીલાઓ છે અને એમાં દહીં-માખણ નિમિત્ત બન્યું એ જ તો દહીંની વિશેષતા છે.

આવા દહીંમાંથી બનેલી લસ્સી ઉનાળાનું અમૃત ન ગણાય તો જ નવાઈ!