Business Plus/ માલ ડિટેન્શન, જપ્તી: GST કાયદા હેઠળ માલની હેરફેર કરતી વખતે ખાસ ધ્યાન રાખો આ બાબતો

- વેચાણવેરો
- સોહમ મશરુવાળા
GST કાયદા હેઠળ માલની હેરફેર કરતી વખતે ઇ વે બીલ વિશિષ્ટ કિસ્સાઓમાં અનિવાર્ય છે. જો માલની સાથે ઇ વે બીલ ના હોય ત્યારે ખાતાના અધિકારીઓ બાંયો ચઢાવી બેફામ કલમ ૧૩૦ હેઠળ જપ્તીનો આદેશ કરે છે. અને તેની સાથે સાથે કલમ ૧૩૯ હેઠળ પણ દંડ વસુલવાની કાર્યવાહિ કરે છે. આજના લેખમાં કલમ ૧૨૯ અને કલમ ૧૩૦ની ચર્ચા કરવામાં આવી છે.
સરકાર દ્વારા કલમ ૧૩૦માં ફાઈનાન્સ એક્ટ ૨૦૨૧, અન્વયે ખુબજ અગત્યનો સુધારો કર્યો છે. જેમાંથી કલમ ૧૩૦માંથી નોન ઓબસેન્ટ કલોઝ કાઢી નાંખ્યો છે. સામાન્ય રીતે જો કર ચોરીનો ગંભીર આરોપ હોય તેવા કિસ્સામાં જ કલમ ૧૩૦ હેઠળ અધિકારીએ કાર્યવાહી ધરવાની છે. અને કઈ મન ફાવે તેમ અંધાધુન કલમ ૧૩૦નો અમલ કરવાનો થાય નહીં. જ્યારે કોઈ વ્યક્તિ માલનો સપ્લાય અથવા કોઈ સપ્લાય GST કાયદાની જોગવાઈ વિરૂધ્ધ કરે છે અથવા ચોપડે વેચાણ/ સપ્લાય કરેલ માલ જેની પર GST ભરવાનો થાય તેને ખતવતો નથી અથવા નોંધણીનો દાખલો લીધા વગર માલનો સપ્લાય કરે છે અથવા તો કરચોરીના ઇરાદાથી GST કાયદા અથવા નિયમોનું ઉલંધ્ધન કરે છે, અથવા તો કોઈ વાહન/ કન્વેયન્સને ગેરરીતે વાપરે છે, માલની હેરફેરમાં ત્યારે કલમ ૧૩૦ હેઠળ જપ્તી કરવાની અવિરત સત્તા જીએસટી અધિકારી પાસે છે. GSTના અધિકારી પાસે જપ્તીના બદલે લાચાર વેપારી પાસે મહત્તમ માલની રકમ જેટલો માતબર દંડ લેવાની છૂટ છે. વધુમાં સાંભળવાની તક આપ્યા વિના કલમ ૧૩૦ હેઠળ આદેશ કરવો નહી તેવી જોગવાઈ કલમ ૧૩૦(૪)માં ઘડી છે. માણસની જો ભૂલ થાય અને જો ઇ-વે બીલ બનાવવાનુ ભૂલી ગયો હોય તો અધિકારીઓ કલમ ૧૩૦ની તોપ બેફામ ચલાવે છે અને તેની સાથે કલમ ૧૩૯નો દંડ પણ લાદે છે.
કલમ ૧૨૯માં નોન-ઓબસ્ટેન્ટ કલોર્ઝ મૂકીને માલની અટકાયત કરવાની સત્તા આપી છે અને જેટલો વેરો છે તેની બમણી રકમ જેટલો દંડ ભરી માલનો માલીક ડીટેન્શનમાંથી માલ મુક્ત કરાવી શકે. જ્યારે માફી માલ ડિટેન કરવામાં આવે તે વખતે માલનો માલીક માલના ૨% અથવા રૂ.૨૫૦૦૦ CGST તથા SGST અથવા IGST રૂ.૫૦૦૦૦ બેમાંથી જે વધુ હોય તે દંડ ભરીને માલ ડિટેન્શનમાંથી મુક્ત કરાવી શકે છે.
GST કાયદાની રચના જોતા સામાન્ય ધોરણે તેમ લાગે કે બન્ને કલમો નીચે એક સાથે કાર્યવાહી હાથ ધરવી ના જોઈએ અને દરેક કેસના ગુણદોષ જોવાના થાય. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ વિવાદ ચર્ચીત થયો ગ્રુપ મેટરમાં મે પછી ટ્રેડર્સ વિ.સ્ટેટ ઓફ ગુજરાત ( R/SCA 9250 of 2020) જેમાં વડી અદાલતે ખાસ નોંધ્યુ છે કે કલમ ૧૩૦ હેઠળની સત્તા ખૂબ ઘાતકી છે અને કરચોરીનો ચોક્કસ ઇરાદો હોવો જોઈએ. કોર્ટના મતે એક જ કેસમાં બન્ને કલમો લાદી શકાય છે. અને અધિકારીએ કલમ ૧૩૦ હેઠળ કાર્યવાહી કરતા પહેલા કાળજી લેવાની છે.

